અપડેટ@દેશ: પહલગામ આતંકવાદી હુમલામાં NIA ની તપાસમાં મોટો ખુલાસો, જાણો વિગતવાર

 
આતંકવાદી
હુમલાનો સમગ્ર ઘટનાક્રમ જાણવા માટે સાક્ષીઓની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સી દ્વારા પહલગામ આતંકવાદી હુમલાની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. તપાસ દરમિયાન ફોરેન્સિક અને અન્ય નિષ્ણાતોની મદદથી ટીમો પહેલગામમાં પુરાવા એકત્રિત કરી રહી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના આદેશ પર NIA એ રવિવારે જમ્મુમાં આ સંદર્ભે કેસ નોંધ્યો હોવાનું સુત્રો જણાવી રહ્યા છે આ પહેલા સ્થાનિક પોલીસને મદદ કરવા માટે બુધવારે NIA ઇન્સ્પેક્ટર જનરલની આગેવાની હેઠળની એક ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.ત્યાર બાદથી તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે.

સ્થાનિક પોલીસ મહાનિરીક્ષક, નાયબ પોલીસ મહાનિરીક્ષક અને પોલીસ અધિક્ષકની દેખરેખ હેઠળ NIA ટીમોએ હુમલાના પ્રત્યક્ષદર્શીઓની પૂછપરછ શરૂ કરી છે. કાશ્મીરમાં થયેલા હિચકારા આતંકવાદી હુમલાનો સમગ્ર ઘટનાક્રમ જાણવા માટે સાક્ષીઓની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે. આતંકવાદીઓ વિશે વિવિધ પાસા અંગેની જાણકારી મેળવવા માટે ટીમો ઘટના સ્થળના એન્ટ્રી અને એક્ઝીટની પણ તપાસ કરી રહી છે.

આ સાથે આતંકવાદી હુમલામાં બચી ગયેલા લોકો પાસેથી માહિતી એકત્રિત કરવા માટે NIA અધિકારીઓની ટીમો દેશભરનો પ્રવાસ કરી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે. અત્યાર સુધીમાં ટીમોએ મહારાષ્ટ્ર, ઓડિશા અને પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં પીડિત પરિવારોના નિવેદનો નોંધ્યા છે. જે તપાસ માટે મહત્વપૂર્ણ સાબિત થનાર હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.NIAની પ્રાથમિક તપાસ મુજબ, હુમલામાં સામેલ આતંકવાદીઓની સંખ્યા પાંચથી સાત હોઈ શકે છે. હુમલાખોરોને પાકિસ્તાનમાં તાલીમ પામેલા બે સ્થાનિક આતંકવાદીઓ તરફથી પણ મદદ મળી હોવાનું અત્યાર સુધીની તપાસમાં સામે આવ્યું છે.