અપડેટ@દેશ: વિમાન દુર્ઘટના પર વડાપ્રધાન મોદીએ દુઃખ વ્યક્ત કર્યું, જાણો શું કહ્યું

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
અમદાવાદમાં વિમાન દુર્ઘટના પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે જણાવ્યું કે, તેઓ મંત્રીઓ અને અધિકારીઓના સંપર્કમાં છે. અમદાવાદના મેઘાણીનગરમાં સર્જાયેલી આ દુર્ઘટનામાં અત્યારસુધી 100થી વધુ લોકોના મોત થયા છે. વડાપ્રધાન મોદીએ વિમાન દુર્ઘટના મુદ્દે એક્સ પર પોસ્ટ કરી હતી કે, અમદાવાદમાં સર્જાયેલી દુર્ઘટનાથી અમે સ્તબ્ધ અને દુઃખી છીએ. આ દુઃખની ઘડીમાં પ્રભાવિત તમામ લોકો સાથે મારી સંવેદના છે. હું મંત્રીઓ અને અધિકારીઓના સંપર્કમાં છું. તેઓ લોકોની સહાયતા માટે કામ કરી રહ્યા છે.દુર્ઘટના બાદ વડાપ્રધાન મોદીએ નાગરિક ઉડ્ડયન મંત્રી કે. રામમોહન નાયડુ સાથે વાત કરી દુર્ઘટનાની જાણકારી આપી હતી. અમદાવાદથી ગેટવિક (બ્રિટન) જઈ રહેલી ફ્લાઇટ AI 171 ટેક ઑફની બે મિનિટમાં જ ક્રેશ થઈ હતી.
નાગરિક ઉડ્ડયન મંત્રીના કાર્યાલયના એક અધિકારીએ જણાવ્યું કે, PM મોદીએ વ્યક્તિગત રૂપે નાયડુ સાથે વાત કરી અમદાવાદમાં એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાની જાણકારી લીધી હતી. રામમોહન નાયડુ બચાવ તેમજ રાહત કામગીરી માટે અમદાવાદ જવા રવાના થયા હતા. વડાપ્રધાને તાત્કાલિક ધોરણે તમામ આવશ્યક સહાયતા ઉપલબ્ધ કરાવવા નિર્દેશ આપ્યો છે. તથા સ્થિતિ વિશે નિયમિત રૂપે માહિતી આપવા કહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય ગૃહ મંત્રીને નાયડુ સાથે અમદાવાદ જઈ તમામ સંભવિત સહાયતા ઉપલબ્ધ કરાવવા આદેશ આપ્યો છે.