અપડેટ@ગુજરાત: મુખ્યમંત્રીએ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી, 4 IAS અધિકારીઓને ઈમર્જન્સી ડ્યુટીમાં મુકાયા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
અમદાવાદના મેઘાણીનગરમાં વિમાન દુર્ઘટના બાદ સિવિલ હોસ્પિટલમાં ઈજાગ્રસ્ત મુસાફરોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં. હોસ્પિટલમાં ઈજાગ્રસ્તોની સારવાર અંગે રાજ્યના મુખ્યમંત્રી સહિતના મંત્રીઓએ સમીક્ષા કરી હતી. મુખ્યમંત્રી સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતાં અને તેમણે પીએમ રૂમની પણ મુલાકાત લીધી હતી. હવે સિવિલમાં ચાર IAS અધિકારીઓને ઈમર્જન્સી ડ્યુટીમાં મુકવામાં આવ્યાં છે.ચારેય અધિકારીઓએ રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ હેઠળ કામ કરવાનું રહેશે.
એર ઈન્ડિયાના AI171 વિમાનમાં 242 મુસાફરો સવાર હતાં.જેમાં 169 ભારતીય મુસાફરો અને 53 બ્રિટિશ સહિત એક કેનેડિયન અને સાત પોર્ટુલગના મુસાફરો મુસાફરી કરી રહ્યા હતાં. હાલમાં 150થી વધુ મુસાફરોના આ પ્લેન દુર્ઘટનામાં મોત થયા હોવાની માહિતી સામે આવી છે. ઈજાગ્રસ્ત મુસાફરો માટે સિવિલમાં ખાસ પ્રકારે સારવાર શરૂ કરી દેવામાં આવી છે. જેમાં રાજ્ય સરકારે ચાર IAS અધિકારીઓને સિવિલ હોસ્પિટલમાં ઈમર્જન્સી ડ્યુટીમાં મોકલી દીધા છે. આ ચાર અધિકારીઓમાં નીતિન સાંગવાન, હર્ષિત ગોસાવી, અરવીંદ વી અને પ્રશાંત જીલોવાનો સમાવેશ થાય છે.
સિવિલ હોસ્પિટલમાં હાલમાં મુસાફરોની સારવારને લઈને દોડધામ જોવા મળી રહી છે. મુખ્યમંત્રી સહિતના મંત્રીઓ સિવિલ હોસ્પિટલ પહોંચી ગયા છે. મુખ્યમંત્રીને આ દુ:ખદ ઘટનાની જાણ થતાં જ તેમણે મુખ્ય સચિવ પંકજ જોષી અને સંબંધિત વરિષ્ઠ સચિવોનો ટેલીફોન પર સંપર્ક કરીને ઈજાગ્રસ્ત મુસાફરોને તાત્કાલીક સારવાર માટે પહોંચાડવા ગ્રીન કોરીડોરની વ્યવસ્થા માટે અને હોસ્પીટલમાં સારવારની તમામ વ્યવસ્થાઓ અગ્રતાક્રમે સુનિશ્ચિત કરવા પણ સુચનાઓ આપી હતી.