અપડેટ@કડી: જાસલપુર દુર્ઘટના અંગે PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યુ, મૃતકના પરિવારને 2 લાખની સહાય મળશે

 
પીએમ
ઈજાગ્રસ્તોને 50 હજાર રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

મહેસાણા જિલ્લાના કડી તાલુકાના જાસલપુર ગામ નજીક ખાનગી કંપનીની દીવાલ ધસી પડવાની દુર્ઘટનામાં 7 મજૂરોના મોત થયા છે. આ દુર્ઘટના અંગે રાજ્યના મુખ્યમંત્રી દુ:ખ વ્યક્ત કર્યું છે. આ સાથે મૃતકોના પરિવારજનો તેમજ ઈજાગ્રસ્તો માટે આર્થિક સહાયની જાહેરાત કરી છે. આ દુર્ઘટના અંગે મુખ્યમંત્રીએ પોતાના દુ:ખ વ્યક્ત કરતા જણાવ્યું છે કે, મહેસાણામાં દિવાલ પડવાના લીધે થયેલ જાનહાનિની ઘટના અત્યંત દુઃખદ છે. મૃતકોના પરિવારજનો પ્રત્યે આત્મીય સંવેદના વ્યક્ત કરું છું. તંત્ર દ્વારા ઈજાગ્રસ્તોના બચાવ અને ઝડપી સારવાર માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તેઓ ઝડપથી સાજા થાય તેવી પ્રભુને પ્રાર્થના કરું છું.

મૃતકના પરિવારજનોને રૂ. 4 લાખ અને ઈજાગ્રસ્તોને 50 હજાર રૂપિયાની સહાય મુખ્યમંત્રી રાહત નિધિમાંથી આપવાની જાહેરાત કરી છે. વડાપ્રધાન મોદીએ પણ આ દુર્ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું છે. આ સાથે જ વડાપ્રધાને પણ મૃતકોના પરિવારજનોને રૂ.2 લાખ તેમજ ઈજાગ્રસ્તોને 50 હજાર રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે. જાસલપુરની સીમમાં સ્ટીલ ઇનોક્સ સ્ટેઈનલેસ પ્રાઈવેલ લિમિટેડ કંપનીમાં દીવાલ બનાવવાનું કામ ચાલી રહ્યું હતુ. આ સમયે ત્યાં 10 જેટલા મજૂરો કામ કરી રહ્યા હતા, ત્યારે અચાનક માટીની ભેખડ ધસી પડતાં તમામ મજૂરો દટાઈ ગયા હતા.જ્યાં JCBની મદદથી માટી હટાવીને 7 મજૂરોના મૃતદેહ બહાર કાઢ્યા છે. હજુ 3 મજૂરો દટાયા હોવાથી તેમને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે.