ખળભળાટ@મહેસાણા: દૂધ પાઉડર ઉપર મહા ઘટસ્ફોટ, રાજકારણ મૂકો, ફુડ અધિકારીની વાત જાણી ચોંકી જશો

 
Amul milk powder
અનેક મેટ્રિક ટન દૂધ પાઉડરનો જથ્થો એક્ષપાયર થઈ ગયો છે

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી 


મહેસાણા સ્થિત દૂધસાગર ડેરીમાં છેલ્લા 2 દિવસથી આક્ષેપ સામે પ્રતિ આક્ષેપ અને ખુલાસાઓનુ રાજકારણ ખૂબ ગાજી રહ્યું છે. જોકે પશુપાલકો અને નાગરિકોના આરોગ્ય ઉપર ખાસ રિપોર્ટીગ થયું નથી ત્યારે સૌથી મોટો ખુલાસો સામે આવ્યો છે. વાઈસ ચેરમેન યોગેશ પટેલે મહેસાણા દૂધ ઉત્પાદક સહકારી સંઘના મિલ્ક પાવડરના જથ્થાને બહાર પાડ્યો તેનાથી મામલો વધુ ગરમાયો છે. જેમાં યોગેશ પટેલ કહે છે, એક્ષપાયરી ડેટ વાળો દૂધ પાઉડર સંગ્રહ રાખી/નવો જથ્થો ખરીદી પશુપાલકોને નુકસાન આપ્યું છે. તો સામે તુરંત ચેરમેન અશોક ચૌધરીએ દૂધ પાઉડરની એક્ષપાયરી ડેટ લંબાવવાની જોગવાઈ જણાવી. હવે આ બંને વચ્ચે ગુજરાત અને ભારતભરના નાગરિકો સુધી આ દૂધ પાઉડર જાય તો યોગ્ય છે કે કેમ અને આવી કોઈ જોગવાઈ છે કે કેમ તેનો મહા ઘટસ્ફોટ રજૂ કરીએ. આ બાબતે ફુડ અધિકારીએ તો તપાસ કરવા સુધીની સત્તા અને તારીખ નહિ લંબાવી શકે તે તમામ મુદ્દે ઘટસ્ફોટ કરતાં ખળભળાટ મચી જાય તેવી સ્થિતિ છે. જાણીએ સમગ્ર અહેવાલ.

મહેસાણા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘના ચેરમેન અશોક ચૌધરી અને વાઈસ ચેરમેન યોગેશ પટેલના એકબીજા સામેના ટકરાવને સૌ કોઈ રાજકારણ ગણાવી રહ્યું છે પરંતુ જ્યાં મારા તમારા આરોગ્યને જોડાયેલ દૂધ પાઉડરની એક્ષપાયરી બાબતે ઉંડાણપૂર્વકની વાત આવી નથી. હવે સૌપ્રથમ તો જાણીએ કે, યોગેશ પટેલે કહ્યું કે, અનેક મેટ્રિક ટન દૂધ પાઉડરનો જથ્થો એક્ષપાયર થઈ ગયો છે એટલે આજની સ્થિતિએ ખાવા યોગ્ય નથી. આ બાબતે વળતો જવાબ આપતાં ચેરમેન અશોક ચૌધરીએ જણાવ્યું કે, એક્ષપાયરી ડેટ થઈ છતાં લેબ કે અમુલ ફેડરેશન મારફતે વધુ 6 મહિના જથ્થો સુરક્ષિત છે. આ બાબતે હવે એફ.એસ.એસ.એ.આઇના ફુડ અધિકારી રાજકુમારને વિગતે પૂછતાં જે જણાવ્યું તે જાણી ચોંકી જશો. રાજકુમાર નામના અધિકારીએ જણાવ્યું કે, એકવાર એક્ષપાયરી તારીખ લખાઇ ગયા પછી સુધારવાનો અધિકાર નથી. નીચેના ફકરામાં વાંચો વધુ ચોંકાવનારી વિગતો.


સૂત્રોએ જણાવ્યું હતું કે, ગત એપ્રિલ 2025ની સ્થિતિએ મહેસાણા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ દ્વારા ઉત્પાદિત થયેલ સ્કિમ્ડ મિલ્ક પાવડર (સ્ટાન્ડર્ડ ગ્રેડ)નો જથ્થો એક્ષપાયર થવા આવ્યો. આ પછી મે અને જૂન મહિના પસાર થયા હોઈ આજની સ્થિતિએ દૂધ પાઉડર ઉપર લખાયેલ વિગતો મુજબ દૂધ પાઉડરની મર્યાદા પૂર્ણ છે. હવે ચેરમેન અશોક ચૌધરી આ તારીખ બાબતે અમુલ ફેડરેશનનો આધાર લે છે પરંતુ ફુડ અધિકારી રાજકુમારે તો તારીખમાં કોઈ ફેરફાર ના થાય એ તો કહ્યું પરંતુ એક્ષપાયરી ડેટ પૂર્ણ થઈ હોય તો પણ તપાસની તૈયારી બતાવી છે. કોઈપણ ઉત્પાદક એકવાર એક્ષપાયરી ડેટ લખી દે પછી આધાર પુરાવા વગર કોઈપણ સંજોગોમાં તારીખ લંબાવી શકે નહિ અને તેની સેલ્ફ લાઈફ આગળ વધવાની જણાતી હોય તો પણ એફ.એસ.એસ.એ.આઇને ધ્યાને આવતાં તાત્કાલિક સ્થળ તપાસ કરી શકે તેવું જણાવ્યું છે. આથી હવે આગામી ન્યૂઝ રીપોર્ટમાં આ દૂધ પાઉડરની વય મર્યાદા ઉપર દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવા પ્રયત્ન કરીએ.