ખળભળાટ@સોનગઢ: આ રહ્યો પુરાવો, આદિજાતિ વિકાસ વિભાગને મળેલ જમીનમાંથી દબાણ દૂર કરો

 
સોનગઢ
સત્તાવાર રીતે મળેલી જમીનની માપણી અને દબાણ બાબતે કોઈ ઠોસ કામગીરી થયેલી નથી

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી 


સોનગઢ ખાતે કેટલાક વર્ષો અગાઉ તાપી કલેક્ટરે આદીજાતી વિકાસ વિભાગને જમીન ફાળવી હતી. જોકે તાપીના વ્યારા ખાતે આવેલી આદીજાતી વિકાસ વિભાગની મદદનીશ કમિશ્નર કચેરીને સદર જમીનમાં દબાણ હોવાનો સવાલ છે. આથી દબાણ દૂર કરવા અને જમીન ખુલ્લી કરાવી આપવા વર્ષોથી પ્રયત્ન કરતાં હોવાનો પુરાવો મળ્યો છે. સર્વે નંબર 44/અ પૈકી 1 ની સરેરાશ 40 હેક્ટર જમીનમાંથી છાત્રાલય માટે મોટી જગ્યા ફાળવવામાં આવેલી છે. જોકે સત્તાવાર રીતે મળેલી જમીનની માપણી અને દબાણ બાબતે કોઈ ઠોસ કામગીરી થયેલી નથી. ખુદ મદદનીશ કમિશ્નર કચેરી સોનગઢ મામલતદારન કચેરીને કહે છે કે, અન્ય કોઈપણ દબાણ હોય તો દૂર કરી આપો. છેક વર્ષ 2023 માં લખાયેલ પત્ર જોતાં જે વિગતો પ્રકાશમાં આવી તેના આધારે શરતોને આધીન મળેલી જમીન મામલે મદદનીશ કમિશ્નર કચેરી સામે પણ ગંભીર સવાલો થાય છે. વાંચો પુરાવા બતાવતો આ સ્પેશ્યલ રિપોર્ટ.

તાપી જિલ્લા રેવન્યુ તંત્ર હેઠળની સોનગઢ ખાતે આવેલી સર્વે નંબર 44/અ પૈકી 1ની જમીન શ્રી સરકાર હોઈ તેમાં કેટલીક જમીન આદિજાતિ વિકાસ વિભાગને છાત્રાલય માટે આપેલી છે. તાપી જિલ્લા કલેક્ટરના તા. 30/12/2021 ના હુકમ નં. જમન/સોનગઢ/કુમાર છાત્રાલય/વશી 11280 થી 11286/2021 ની માપણી કરવામાં આવેલ હતી. આ દરમ્યાન રેવન્યુ વિભાગના Anyror સોફ્ટવેરમાં પણ તા. 5/2/2022 થી નોંધ નંબર 3490 ઉપર ઉલ્લેખ કરેલ છે કે, હેક્ટર આરે 2-00-00 ચો.મી જમીન સરકારની જોગવાઈ અને નિયમો હેઠળ સરકારી છાત્રાલય, સોનગઢના બાંધકામ માટે મદદનીશ કમિશ્નર, વ્યારાનાઓને તબદીલ કરવા હુકમ છે. હવે અહિં એક વાત સૌથી અગત્યની છે કે, સદર હુકમથી જમીન મદદનીશ કમિશ્નર કચેરીને મળી પરંતુ શરતોને આધીન ફાળવી છે. હવે આ શરતો જોતાં અન્યોના દબાણને કારણે મદદનીશ કમિશ્નર કચેરી, વ્યારાને મજબૂરીવશ શરત ભંગ થાય છે ? તે સવાલ ઉભો થયો છે. વાંચો નીચેના ફકરામાં મોટો ખુલાસો.

સૂત્રોએ જણાવ્યું હતું કે, કલેક્ટરના હુકમથી મળેલ જમીન બાદ મદદનીશ કમિશ્નર કચેરી વ્યારાનાઓને કેટલીક શરતોનું પાલન કરવું પડે છે. જેમાં મુખ્ય શરતો જોઈએ તો, સરકારી છાત્રાલય સિવાય જમીનનો ઉપયોગ કરવો નહિ અને ઉપયોગ કરવો જરૂરી હોય તો કલેક્ટરની મંજૂરી લેવી પડે. આદીજાતી વિકાસ વિભાગ હેઠળના સરકારી છાત્રાલયના બાંધકામ પછી બાકી રહેતી જમીન ઉપર વૃક્ષારોપણ કરવાની પણ શરત છે. હવે તમે સદર નોંધ નંબરમાં વાંચો તો એવું પણ છે કે, જો કોઈપણ શરતનો ભંગ થશે તો હુકમ આપોઆપ રદ્ થશે. અહિં તમામ શરતો પાળવાની સૌથી મોટી જવાબદારી મદદનીશ કમિશ્નર કચેરી, તાપી(વ્યારા)ની છે પરંતુ તમામ શરતોનું પાલન છે ? હકીકતમાં મદદનીશ કમિશ્નર કચેરી તો તમામ શરતોનું પાલન થાય તે પ્રયત્ન કરે છે અને તેના ભાગરૂપે  સોનગઢ મામલતદારને પત્ર પણ લખે છે. જોકે કોણ અને કેવીરીતે આ શરતો ભંગ થવા દે તે પણ વાંચો 

સદર હુકમથી મળેલી જમીનમાં કે તેના ભાગમાં સરકારી છાત્રાલય અને વૃક્ષારોપણ સિવાય બીજો ઉપયોગ થાય નહિ. તો અહિં સવાલ થાય કે, મદદનીશ કમિશ્નર કચેરીને મળેલી જમીનનાં કેટલા ભાગમાં કોઈ દબાણ છે ? કોનું દબાણ છે? કેટલું દબાણ છે? દબાણ છે તો મદદનીશ કમિશ્નર કચેરીની ભૂલ નથી તો પણ શરતભંગ તો થાય છે ને ? સોનગઢ મામલતદાર કચેરીએ પણ સ્વિકાર્યું છે કે, સરેરાશ 8 ગુંઠા જેટલી જમીનમાં દબાણ હોઈ શકે. હવે દબાણ મામલે શરતભંગની કાર્યવાહી થાય તો વગર વાંકે મદદનીશ કમિશ્નરની જમીન જાય ? આ તમામ સવાલો મદદનીશ કમિશ્નર કચેરી, વ્યારા માટે અગત્યના હોઈ તાપી કલેક્ટર અથવા કમિશ્નર, ગાંધીનગર સદર વિષયે ધ્યાને લેશે કે કેમ તે આગામી દિવસોમાં ખબર પડે.