ઉ.ગુજરાતઃભૂગર્ભ જળસંકટ વિરુદ્ધ ફરી એકવાર જળસંચય અભિયાન
અટલ સમાચાર,મહેસાણા
રાજ્યમાં ગત વર્ષે લોકભાગીદારીથી જળ સંચય અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જોકે, નિષ્ફળ ચોમાસાને પગલે ખેત તલાવડીઓમાં પાણી નહી ભરાતા જળ સંગ્રહ નહીવત થયું હતું. ભૂગર્ભ જળસંકટનો સામનો કરતા ઉત્તર ગુજરાતમાં આગામી સોમવારથી ફરી એકવાર જળસંચય અભિયાન શરુ થશે.
ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ગત વર્ષે નિષ્ફળ ચોમાસાએ ખેડૂત અને પશુપાલકો માટે અફડા-તફડી અને ભાગદોડની પરિસ્થિતિ ઉભી કરી છે. આ તરફ ભૂગર્ભ જળસંકટ વિરુદ્ધ ગત વર્ષે શરુ કરેલુ જળસંચય અભિયાન પરિણામ ઉપજાવી શક્યું નથી. જેથી ઉનાળામાં ઉત્તર ગુજરાતના કેટલાક તાલુકાઓમાં પીવા અને સિંચાઈ માટેના પાણીની સમસ્યા સતાવી શકે છે.
આવી પરિસ્થિતિ વચ્ચે આગામી ચોમાસાને લઈ રાજ્યભરમાં ફરીથી જળસંચય અભિયાન શરુ થયું છે. આ માટે ઉ.ગુ.માં સોમવારથી સુજલામ-સુફલામ, વનવિભાગ, પાણી પુરવઠા સહિત વહિવટી તંત્ર દ્વારા વિધિવત તેની શરુઆત કરવામાં આવશે. જેમાં અગાઉની જેમ સ્વૈચ્છીક લોક ભાગીદારી વધારવા મથામણ વધી શકે છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે ભૂગર્ભજળની સ્થિતિને લઈ ઉ.ગુ. ધીમેધીમે ડાર્ક ઝોન હેઠળ આવી રહ્યો હોવાથી વહિવટીતંત્ર સિવાય વ્યક્તિગત ધોરણે દરેક પરિવારે પણ જળસંચય માટે મહેનત કરવી અનિવાર્ય બની ગઈ છે. આગામી પેઢી માટે પાણી પુરવઠો વિના વિધ્ને જાળવી રાખવા ભૂગર્ભ જળ સંગ્રહ વધારવું આવશ્યક બન્યું છે.