વડગામ: સદવિચાર ફાઉન્ડેશન દ્વારા જન્મ દિવસની અનોખી ઉજવણી કરાઇ
અટલ સમાચાર,વડગામ (જગદિશ શ્રીમાળી)
બનાસકાંઠામાં કાર્યરત સદવિચાર ફાઉન્ડેશન હમેશાં અલગ અલગ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સમગ્ર બનાસકાંઠા માં સેવાકીય કાર્ય કરી રહી છે, ત્યારે પાલનપુરના ખ્યાતનામ લોકગાયક સાગરભાઈ પુરબીયાના જન્મદિવસની ઉજવણી વડગામ તાલુકાના મેજરપુરા પ્રા. શાળા ખાતે વૃક્ષ પૂજન તેમજ વૃક્ષોની વાવણી કરીને અનોખી રીતે જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ ચિત્રો દોર્યા હતા, જેમાં 1 થી 3 નંબર આવનાર દરેક વિદ્યાર્થીઓને વૃક્ષ ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી. શાળાની દિકરીઓના હસ્તે વૃક્ષને કુમ-કુમ તિલક કરી મહેમાનોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. દરેક વિદ્યાર્થીઓએ વૃક્ષનો ઉછેર કરવાનો સંકલ્પ લીધો હતો. આ પ્રસંગે પાલનપુર ના લોકગાયક સાગરભાઈ પુરબીયા, રિનાબેન ઠાકોર લોકગાયિકા, રાહુલભાઈ કોઇટિયા, મેજરપુરાના સરપંચ ભવાનસિહ ભાટી,આચાર્ય મણીભાઈ પંચાલ,કેદારસિંહ ચૌહાણ કરજા, પરેશ ચૌહાણ, સહિત શાળાનો સ્ટાફગણ તેમજ મહેમાન ઉપસ્થિત રહ્યા હતા. ગ્રામજનો અને શાળા સ્ટાફગણે સદવિચાર ફાઉન્ડેશનની સમગ્ર ટીમ ની કામગીરીને બિરદાવી હતી.