વિજાપુર તાલુકાના સયાજીનગર ગામે રાત્રી ગ્રામસભા યોજાઇ
અટલ સમાચાર,મહેસાણા
મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના સયાજીનગર ગામે ગ્રામ સભા યોજાઇ હતી.જેમાં વિકાસ કામો માટે ધારાસભ્ય રમણભાઇ પટેલ, કલેક્ટર એચ.કે.પટેલ તથા જિલ્લા વિકાસ અધિકારી એમ.વાય.દક્ષિણીની ઊ૫સ્થિતિમાં ખાસ ગ્રામસભા યોજાઇ હતી.
કલેકટર એચ.કે.પટેલે જણાવ્યું હતું કે ગ્રામસભા એટલે લોકસશક્તિકરણ; તંદુરસ્ત લોકશાહીની તાલીમ પુરૂ પાડતું માધ્યમ છે જેમાં ગરીબો અને મહિલાઓને રજુઆત કરવાની તક મળે છે.ગ્રામસભામાં અધિકારી/કર્મચારી અને લોકો વચ્ચે સુમેળભર્યા સંવાદની તકથી ગ્રામજનોને સીધો ફાયદો થાય છે. લોકભાગીદારી થકી સરકાર/પંચાયતની કામગીરીનું લોકોને અનુંભવ થાય છે.
ગ્રામસભામાં પંચાયત વિભાગ દ્વારા હાથ ધરાયેલ વિકાસના કામોની સમીક્ષા અને ચર્ચા કરાઇ હતી. આ ઉપરાંત સરકારના વિવિધ કાર્યક્રમો/યોજનાઓ વિષે જાણકારી અને કામગીરીની સમીક્ષા કરી હતી.જિલ્લામાં ગામના વિકાસના પ્રશ્નોની ચર્ચા અને ઉકેલ લાવવામાં આવ્યો હતો.
આ ગ્રામસભામાં સરપંચએ ગામમાં હાથ ધરાયેલ વિકાસકામોની માહિતી આપી હતી. ગ્રામજનો માટે ગામમાં ઉપલબ્ધ સુવિધાઓ અંગેની જાણકારી આપી હતી.સયાજીનગર ગામ દ્વારા જિલ્લાના અને તાલુકાના અધિકારીઓનું સ્વાગત-સન્માન કરવામાં આવ્યું હતું. આ ગ્રામસભામાં પોપ્યુલર પરિવારના સભ્યો,જિલ્લાના અને વિજાપુર તાલુકના અધિકારીઓ, મહિલાઓ સહિત વિશાળ સંખ્યામાં ગ્રામજનો હાજર રહયા હતા.