વિજય@મહેસાણા: દૂધસાગરમાં પરિવર્તન પ્રવેશ, દબદબો છતાં વિપુલ ચૌધરીની હાર
અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા (પ્રિયકાન્ત શ્રીમાળી)
દૂધસાગર ડેરીમાં આજે ચૂંટણીના પરિણામો જાહેરાત થતાં મોટાં પરિવર્તનનો પવન ફુંકાયો છે. દૂધસાગર ડેરીની કુલ 15 પૈકી 13 બેઠકો પરિવર્તન પેનલે કબજે કરી લીધી છે. આ તરફ ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની વિકાસ પેનલને માત્ર બે જ બેઠકો મળી છે. દૂધસાગર ડેરીના મતદારોએ જાણે પરિવર્તન કરવાનું નક્કી કર્યુ હોય તેમ આજે ઉત્સાહ સાથે મતદાન કરી અશોકભાઇ ચૌધરીની પેનલને વિજયી બનાવી છે. નોંધનિય છે કે, પ્રતિષ્ઠાનો જંગ બનેલી દૂધસાગર ડેરીની ચૂંટણી જેલમાં બેઠાં-બેઠાં લડ્યા બાદ પણ વિપુલભાઇ ચૌધરીની હાર થતાં તેમના સમર્થકોમાં સોંપો પડી ગયો છે. એટલે હવે પરિવર્તન પેનલના આગેવાન અશોક ચૌધરી દૂધસાગર ડેરી સંઘના પ્રમુખ બની શકે છે. આગામી દિવસોમાં ભવ્ય કાર્યક્રમ બાદ સર્વાનુમતે ડિરેક્ટરોના નેતા પસંદ કરી અશોક ચૌધરીની તાજપોશી થઈ શકે તેવી પ્રબળ શક્યતા છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
મહેસાણાની દૂધસાગર ડેરીની ચૂંટણીમાં પરિવર્તન પેનલનો જંગી બહુમતીથી વિજય થયો છે. આજે સવારથી ભારે રસાકસીભર્યા માહોલ વચ્ચે મતદારો ઉત્સાહ સાથે મતદાન કર્યુ હતુ. જે બાદમાં મતગણતરીના અંતે દૂધસાગર ડેરીની કુલ 15 પૈકી 13 બેઠકો પર પરિવર્તન પેનલની જીત થઇ છે. જોકે ચોંકાવનારી વાત તો એ છે કે, જંગી બહુમતીથી જીતવાનો વાતો વચ્ચે ખુદ વિપુલ ચૌધરી પણ ખેરાલુ બેઠક પરથી હારી ગયા છે. પરિવર્તન પેનલની જીતને સમર્થકોએ ફટાકડા ફોડી વધાવી લીધી હતી. દૂધસાગર ડેરીની ચૂંટણીમાં પરિવર્તન પેનલની જીત બાદ અશોકભાઇ ચૌધરી ચેરમેન બનશે તેવી પ્રબળ સંભાવનાઓ છે.
સૂત્રોએ જણાવ્યું હતુ કે, પ્રતિષ્ઠાનો જંગ બનેલી દૂધસાગર ડેરીની ચૂંટણીમાં અંતે વિપુલ ચૌધરી સમર્થક પેનલની કારમી હાર થઇ છે. કુલ 1129 મતદારોમાંથી 1119 મતદારોએ મતદાન કર્યુ હોવાનું સામે આવ્યુ હતુ. જેમાં કડીમાં 104 પૈકી 102, કલોલ-ગોજારીયામાં 99 પૈકી 99, ખેરાલુ-વડનગરમાં 113 પૈકી 111, ચાણસ્મામાં 95 પૈકી 95, પાટણમાં 103 પૈકી 103, મહેસાણામાં 106 પૈકી 105, માણસામાં 96 પૈકી 95, વિજાપુરમાં 112 પૈકી 109, વિસનગરમાં 100 પૈકી 98, સમીમાં 98 પૈકી 98 અને સિધ્ધપુરમાં 103 પૈકી 103 લોકોએ મતદાન કર્યુ હતું.
હાઇકોર્ટે ચૂંટણી લડવા મંજૂરી આપ્યા બાદ વિપુલભાઇ ચૌધરીની હાર
દૂધસાગર ડેરીની ચુંટણી પહેલાંથી જ બોનસ પગાર કૌભાંડનો મામલો હાઇકોર્ટ સુધી પહોંચ્યો હતો. દુધસાગર ડેરીના બોનસ પગાર કૌભાંડ મામલે ચર્ચામાં આવેલા વિપુલ ચૌધરીને ગુજરાત હાઇકોર્ટે મોટી રાહત આપી હતી. ખેરાલુની જોડિયા દૂધ ઉત્પાદક મંડળીના ઉમેદવારી ફોર્મમાં વિપુલ ચૌધરીને “ક” વિભાગમાં મુકતા વિવાદ સર્જાયો હતો. ત્યારે દુધસાગર ડેરીની આગામી ચૂંટણીમાં “ક” વિભાગમાં મુકાતા વર્ગીકરણના નિયમ પ્રમાણે વિપુલ ચૌધરીનું ફોર્મ રદ્દ થતું હતું. જોકે ગુજરાત હાઇકોર્ટે “ક” વિભાગના ઉમેદવારી પત્ર ઉપર સ્ટે આપ્યો છે. આ આદેશથી વિપુલ ચૌધરીને ચૂંટણી લડવાની લીલી ઝંડી મળી હતી. આમ છતાં ચૂંટણીના પરિણામ બાદ વિપુલભાઇ ચૌધરીની કારમી હાર થઇ છે.
કોણ છે પરિવર્તન પેનલના વિજેતા અશોકભાઇ ચૌધરી ?
દૂધસાગર ડેરીમાં પરિવર્તનનો પ્રવેશ થયો હોય તેમ વિજેતા બનેલાં અશોકભાઇ ચૌધરી વિસનગર તાલુકાના ચિત્રોડીપુરા ગામના વતની છે. તેઓ અગાઉ મહેસાણા નગરપાલિકાના પ્રમુખ રહી ચુક્યા છે. આ સાથે મહેસાણા જિલ્લાના મહામંત્રી રહી ચુક્યા છે. ગુજરાત રાજ્ય હાઉસિંગ બોર્ડમાં ડિરેક્ટરની જવાબદારી પણ તે સંભાળી ચુક્યા છે. દૂધસાગર ડેરીમાં ગત ટર્મમાં તેઓ ડિરેક્ટર હતા. આ સાથે અશોકભાઇ ચૌધરી મહેસાણા જિલ્લામાં ભાજપનો યુવા ચહેરો છે.
કઈ બેઠક પર કોણ જીત્યું ?
અશોકભાઇ ચૌધરી ગ્રુપના વિજેતા
- ખેરાલુ-વડનગર-સતલાસણા-1: સરદારભાઈ ચૌધરી (પરિવર્તન)
- કડી: જશીબેન દેસાઈ (પરિવર્તન)
- ચાણસ્મા: અમરતભાઇ દેસાઈ (પરિવર્તન)
- કલોલ-ગોઝારીયા: જબૂબેન ઠાકોર (પરિવર્તન) (ટાઇ પડતાં ચિઠ્ઠી ઉછાળતાં વિજેતા)
- મહેસાણા: અશોકભાઈ ચૌધરી(પરિવર્તન)
- પાટણ-વાગદોડ: રમેશભાઈ રબારી(પરિવર્તન)
- વિસનગર-1: લક્ષ્મણભાઇ પટેલ(પરિવર્તન)
- સમી-હારીજ: શકતાભાઈ ભરવાડ(પરિવર્તન)
- માણસા-2 : કનુભાઇ પટેલ (પરિવર્તન)
- સિદ્ધપુર-ઊંઝા: રમીલાબેન ઠાકોર(પરિવર્તન)
- ખેરાલુ-વડનગર-સતલાસણા-2: માનસિંહભાઇ પુંજાભાઇ ચૌધરી (પરિવર્તન)
- વિસનગર-2: દિલીપકુમાર ચૌધરી (પરિવર્તન)
- માણસા-1: યોગેશભાઈ પટેલ(પરિવર્તન)
વિપુલભાઇ ચૌધરી ગ્રુપના વિજેતા ઉમેદવાર
- વિજાપુર-1: દશરથલાલ જોષી
- વિજાપુર-2: કમલેશભાઇ પટેલ