વિરમગામઃ છઠ્ઠા નોરતે વેશભુષાના કાર્યક્રમનું ભવ્ય આયોજન કરાયું
અટલ સમાચાર, વિરમગામ
આધ્યશક્તિ જગત જનની અંબા સહિતના માતાજીની આરાધનાનું મહાપર્વ નવરાત્રી ચાલી રહી છે. આ દરમિયાન નવ દિવસ સુધી માતાજીની આરતી સ્તુતિ કરીને આરાધના કરવામાં આવી રહી છે. વિરમગામ શહેરમાં ખેલૈયાઓનો થનગનાટ જોવા મળી રહ્યો છે. ત્યારે નાના બાળકોમાં રહેલી સર્જનાત્મક શક્તિઓ બહાર આવે અને બાળકો પણ પોતાનામાં રહેલુ કૌશલ્ય દર્શાવી શકે તેવા હેતુથી વિરમગામ શહેરમાં આવેલા નીલકંઠ રો બંગ્લોઝ યુવક મંડળ દ્વારા વેશભુષાના કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ હતુ.
બાળકોના માતા પિતાઓ દ્વારા બાળકોને વિવિધ વેશભુષામાં તૈયાર કરવામાં આવ્યા હતા. વેશભુષાને અનુરૂપ તૈયારીઓ કરાવવામાં આવી હતી. વિરમગામના નીલકંઠ રો બંગ્લોઝમાં શુક્રવારે રાત્રે બાળકો દ્વારા વેશભુષાનો કાર્યક્રમ રજુ કરવામાં આવ્યો હતો. બાળકો દ્વારા રાધા કૃષ્ણ, ક્રાંતિકારી ચન્દ્રશેખર આઝાદ, લક્ષ્મી માતા, દેવાધીદેવ મહાદેવ, સૈનિક, પરી, ગોવાળીયો, ડોક્ટર સહિતની વેશભુષાઓ રજુ કરવામાં આવી હતી.
વેશભુષાને અનુરૂપ ડાયલોગ્સ રજુ કરવામાં આવ્યા હતા. બાળકો દ્વારા રજુ કરવામાં આવેલ વિવિધ વેશભુષાઓએ લોકોમાં ઘણુ આકર્ષણ જમાવ્યું હતુ. અને બાળકોને તાળીઓના ગડગડાટથી વધાવવામાં આવ્યા હતા. વેશભુષાના કાર્યક્રમમાં ભાગ લેનારા બાળકોને પ્રોત્સાહીત કરવામાં આવ્યા હતા. નીલકંઠ રો બંગ્લોઝના બાળકો સમૂહ આરતીમા સહભાગી થયા હતા.