ચોંક્યાં@વિસનગર: ખેડૂત દંપતિ પુત્રના ઘરે ગયું અને તસ્કરો ત્રાટક્યાં, દાગીના સહિત 1 લાખની ચોરી
અટલ સમાચાર ડોટ કોમ, વિસનગર
વિસનગર તાલુકાના ગામે ખેડૂત દંપતિ પોતાના દીકરાના ઘરે મહેસાણા ગયા બાદ તસ્કરો ત્રાટક્યાં હોવાની ઘટના સામે આવી છે. સોમવારે સાંજે 6 વાગ્યાથી મંગળવારે 8 વાગ્યા દરમ્યાન અજાણ્યાં તસ્કરોએ ચોરીની અંજામ આપ્યો હોવાનું ખુલ્યુ છે. સમગ્ર મામલે દંપતિએ તાત્કાલિક ગામમાં જઇ ઘરમાં તપાસ કરતાં સોના-ચાંદીના દાગીનાની ચોરી થયાનું ખુલ્યુ હતુ. જેથી વધુ તપાસ કરતાં 1 લાખથી વધુના દાગીનાની ચોરી થવા મામલે અજાણ્યાં ઇસમો સામે વિસનગર તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
મહેસાણા જીલ્લાના વિસનગર તાલુકાના થુમથલ ગામે પ્રજાપતિવાસમાં ચોરીની ઘટના સામે આવી છે. ગામમાં રહેતાં હરગોવનભાઇ ઇશ્વરભાઇ પ્રજાપતિ તેમની પત્નિ સાથે ગત તા.7 જુનના રોજ પોતાના દીકરાના ઘરે મહેસાણા ગયા હતા. જે બાદમાં બીજા દિવસે 8 જુનના સવારે ગામડેથી તેમના મોટાભાઇનો ફોન આવ્યો હતો કે, તમારા ઘરમાં ચોરી થઇ છે. જેથી દંપતિ તાત્કાલિક ગામડે દોડી ગયા બાદ તપાસ કરતાં ઘરમાં બધો સરસામાન અસ્ત-વ્યસ્ત પડ્યો હતો. જેમાં તસ્કરો સોના-ચાંદીના દાગીના ચોરી પલાયન થયાનું સામે આવ્યુ છે.
સૂત્રોએ જણાવ્યું હતુ કે, વિસનગર તાલુકાના ગામે ચોરીની ઘટનાને લઇ ગામડાઓમાં તસ્કરોને મોકળું મેદાન મળ્યું હોવાનું ચિત્ર બન્યુ છે. સોમવારે રાત્રીથી મંગળવાર સવાર સુધી ખેડૂત દંપતિ હાજર ન હોઇ તસ્કરોએ મકાનને નિશાન બનાવ્યુ હતુ. જે બાદમાં દંપતિએ આવીને તપાસ કરતાં સોના-ચાંદીના દાગીના કુલ કિ.રૂ.1,04,400ના ચોરી થયાનું ખુલ્યુ હતુ. જેથી ખેડૂતે અજાણ્યાં ઇસમો સામે વિસનગર તાલુકા પોલીસ મથકે ગુનો રજીસ્ટર કરાવ્યો છે. સમગ્ર મામલે પોલીસે અજાણ્યાં ઇસમો વિરૂધ્ધ આઇપીસી કલમ 454, 457, 380 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ઘરી છે.