અવાજ@અંબાજી: કંગના રણૌતના સમર્થનમાં કરણી સેનાની રેલી, રોષ ભભૂક્યો
અટલ સમાચાર,અંબાજી (અરવિંદ અગ્રવાલ)
કોરોના મહામારી વચ્ચે આજે અંબાજીમાં કરણીસેના દ્રારા કંગના રણૌતના સમર્થનમાં રેલી યોજાઇ હતી. જેમાં શિવસેનાના સાંસદે કંગના ઉપર કરેલી ટીપ્પણીને લઇ કરણી સેના કંગનાના સમર્થનમાં આવી છે. કરણી સેનાએ કહ્યુ છે કે, શિવસેના સાંસદ એક નારીનું સન્માન નથી કરી શકતા તો એ સાંસદ બનવાના કે પછી નેતા કહેવાના લાયક નથી. આ સાથે ભારે આક્રોશ સાથે શિવસેના સામે આકરા પ્રહારો કરી સાંસદ કંગનાની માફી માંગે તેવી માંગ કરી હતી.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
બનાસકાંઠા જીલ્લાના યાત્રાધામ અંબાજીમાં આજે કરણીસેનાએ કંગના રણૌતના સમર્થનમાં રેલી કાઢી શિવસેના સામે ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો. આજે સવારના સમયે અંબાજીના ડી.કે.સર્કલ પાસે કરણીસેનાએ બેનરો સાથે સુત્રોચ્ચાર કરી વિરોધ દર્શાવ્યો હતો. નોંધનિય છે કે, અભિનેતા સુંશાતસિંહ રાજપૂત કેસમાં અનેક મુદ્દાઓ કંગનાએ ઉઠાવ્યા હતા. આ દરમ્યાન શિવસેનાના સાંસદ સંજય રાઉતે કંગના રાણાવત પર ટીપ્પણી કરતાં લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. જે બાદ કરણીસેના પણ કંગના રણૌતના સમર્થનમાં આવી છે.
આજે અંબાજીમાં કરણી સેનાના અધ્યક્ષ સંદીપસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં રેલી યોજાઇ હતી. જેમાં “કંગના તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ”, “નારી કે સમ્માન મેં કરણી સેના મેદાન મે”, “સંજય રાઉત કંગના રણૌત સે માફી માંગે”, “શિવસેના હાય,હાય” સહિતના અનેક નારાઓ આ રેલીમાં ગુંજી ઉઠ્યા હતા. આ સાથે રેલીમાં સંજય રાઉતના ફોટાને સળગાવી અને ચપ્પલ માર્યા હતા. ભારે રોષ સાથે કરણીસેનાએ માંગ કરી હતી કે શિવસેના સાંસદ કંગના રણૌતની માફી માંગે.
સૂત્રોએ જણાવ્યુ હતુ કે, આ રેલીમાં કરણી સેના અધ્યક્ષ સંદીપસિંહ રાજપૂત, મહેન્દ્ર રાજપુત, જયેન્દ્રસિંહ રાજપુત, મેહુલસિંહ રાજપુત, સુજીતસિંહ રાજપુત, આકાશસિંહ રાજપુત, બળવંતસિંહ રાજપુત, બાલવીરસિંહ રાજપુત, જયેશસિંહ રાજપુત, પ્રતાપસિંહ રાજપુત, દીપકસિંહ રાજપુત, અમિતસિંહ રાજપુત, બ્રિજેશ રાજપુત, સચિનસિંહ રાજપુત, કુણાલસિંહ રાજપુત, મનીષસિંહ રાજપુત સહિતના કરણી સૈનિકો તથા લઘુમતી મોરચાના મહામંત્રી વસીમ મેમણ ઉપસ્થિત રહ્યા હતા.