અવાજ@તલાટી: યાંત્રિક રીતે હાજરી પુરવાનું રદ્દ કરવા સહિતના મુદ્દે મહામંડળની રજૂઆત
અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા
રાજ્યના નવા મુખ્યમંત્રી તરીકે આજે ભૂપેન્દ્ર પટેલે શપથ ગ્રહણ કર્યા હતા. આ તરફ હવે રાજ્ય તલાટી મંડળે આંદોલનની ચિમકી ઉચ્ચારી છે. અગાઉની પડતર માંગણીઓને લઇ હવે રાજ્ય તલાટી મંડળે મહેસાણા કલેક્ટર અને ડીડીઓને આવેદનપત્ર આપ્યુ છે. તલાટીઓની યાંત્રિક રીતે હાજરી નહી પુરવા, નોકરીના વર્ષો સળંગ ગણવા સહિતના વિવિધ મુદ્દે તલાટી મંડળે રજૂઆત કરી છે. જોકે આજે મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલે શપથગ્રહણ કર્યા બાદ હવે નવા આંદોલનના શ્રીગણેશ થયા છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
મહેસાણામાં રાજ્ય તલાટી મંડળે પડતર માંગણીઓને લઇ આંદોલનના મંડાણ કર્યા છે. રાજ્યના તલાટી મંડળના પ્રમુખ પંકજ મોદીની આગેવાનીમાં આંદોલનના શ્રી ગણેશ થયા છે. વિગતો મુજબ તાલુકા સ્તરે બનેલા સોશિયલ મીડિયા ગ્રુપમાંથી તમામ તલાટીઓ રીમુવ થતાં આંદોલનના એંધાણ મળી રહ્યા છે. જોકે આ અંગે અગાઉ મહેસાણાના જિલા કલેક્ટર અને DDOને આવેદન પત્ર પણ આપવામાં આવ્યુ હોવાનું સામે આવ્યુ છે.
સૂત્રોએ જણાવ્યું હતુ કે, પડતર માંગણીઓને લઇ તલાટી મંડળે પોતાના બે કાર્યકર્મ જાહેર કર્યા છે. જેમાં 20 સપ્ટેમ્બરે તલાટીઓ કાળી પટ્ટી ધારણ કરશે જ્યારે 25 મીએ પેન-ડાઉન નું આયોજન કરવામાં આવ્યું છે. આજે રાજ્યના મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલે ચાર્જ સંભાળતાની સાથે તલાટી મંડળે પોતાની પડતર માંગણીઓને લઈને આક્રમકતા બતાવી છે.