રાજ્ય સરકાર ખેડૂતોને રાહત આપશેઃખરીફ અને રવિ પાકો જીવંત રાખવા મોટી જાહેરાત
અટલ સમાચાર,ગાંધીનગર
નર્મદા નદીમાં કેવડિયાથી ભરૂચના દરિયા સુધીના વિસ્તારમાં પાણીનો પ્રવાહ યથાવત રહે, નર્મદા કાંઠે વસતા લોકોને બારે મહિના નર્મદાના મીઠા નીર ઉપલબ્ધ થાય અને દરિયો આગળ વધતો અટકે એવા તમામ પર્યાવરણીય હેતુ માટે નર્મદા બંધ અને ગરુડેશ્વર વિયરમાંથી હેઠવાસમાં પાણી છોડવામાં આવે છે. આ માટે સરદાર સરોવર બંધ અને વિયરની વચ્ચે સંગ્રહ કરાતું પાણી એ પાણીનો વેડફાટ નથી પરંતુ પર્યાવરણીય જરૂરીયાત છે તેમ નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. 28મી ફેબ્રુઆરી સુધીમાં ખેડૂતોને રવી સિંચાઈ માટે પાકોની જરૂરીયાત મુજબ ચાર પાણી અપાશે.
નર્મદા કંટ્રોલ ઓથોરિટીના નિર્દેશ મુજબ બંધની હેઠવાસમાં પર્યાવરણીય જરૂરીયાત સંતોષવા સતત 600 ક્યુસેક પાણી છોડવાનું હોય છે. જે અત્યાર સુધી પોન્ડ નં. 3 માંથી ગોડબોલે ગેટ દ્વારા છોડવામાં આવતું હતું. જે હવે ગરુડેશ્વર વિયરમાં પણ ગેઇટ લાગી જતા તેના મારફતે હેઠવાસમાં છોડવામાં આવે છે.
સામાન્ય વર્ષે ગુજરાતને ફાળે આવતા 9 મિલિયન એકર ફીટ પાણીના જથ્થાની સામે ચાલુ સાલે નર્મદાના સ્રાવ વિસ્તારમાં વરસાદ ઓછો થતા ગુજરાતને ફાળે 6.83 મિલિયન એકર ફીટ પાણી આવશે. આમ લગભગ 25% ઓછું પાણી મળેલ હોવા છતા રાજ્ય સરકારે ખેડૂતોના હિતમાં સમયસર યોગ્ય નિર્ણયો લઈ ખરીફ ઋતુમાં ટેકાની સિંચાઇ માટે આશરે 1.75 મિલિયન એકર ફીટ પાણી આપેલ છે. તેમજ ચાલુ રવી ઋતુમાં પણ સરકારે સમયસર જાહેરાત કરી તે મુજબ તા. 12 નવેમ્બરથી દરરોજ 18 થી 20 હજાર ક્યુસેક પાણી આપવામાં આવે છે જે અત્યાર સુધીમાં 1.15 મિલિયન એકર ફીટ જેટલો જથ્થો થાય છે. અગાઉથી જાહેરાત કર્યા મુજબ તા. 28 ફેબ્રુઆરી સુધી રવી સિંચાઇ માટે પાકોની જરૂરિયાત મુજબ કુલ લગભગ ચાર પાણી આપવામાં આવશે.
વધુમાં જાહેર કરેલ કે નહેર માળખાની કુલ અંદાજીત 71,000 કિલોમીટર લંબાઇ સામે વાસ્તવિક પરિસ્થિતિ જોતા લગભગ 68,000 કિલોમીટર થવા સંભવ છે. આ પૈકી નવેમ્બર 2018ના અંત સુધીમાં 60,169 કિલોમીટર લંબાઇનું નહેર માળખુ પૂર્ણ થયેલ છે એટલે કે 88% કામો પૂર્ણ થયા છે. છેલ્લાં ચાર વર્ષોમાં આશરે 34,000 કિલોમીટર લંબાઇના કામો પૂર્ણ થયા છે. હવે બાકી રહેતા કામો મુખ્યત્વે નાની વહન ક્ષમત્તા વાળી સબ માઈનોર નહેરોના છે હવે આ દિશામાં પણ સંતોષકારક કામગીરી થઈ રહી છે.