હવામાન@ગુજરાત: છેલ્લા 24 કલાકમાં 95 તાલુકાઓમાં મેઘમહર, ક્યાં સૌથી વધુ નોંધાયો? જાણો

 
વરસાદ
દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદનું જોર થોડું વધી શકે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 95 તાલુકાઓમાં મેઘમહર જોવા મળી હતી, પરંતુ એકંદર સ્થિતિ ચિંતાજનક છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી સાત દિવસ સુધી રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદી માહોલ યથાવત્ રહેવાની શક્યતા છે.છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર પ્રમાણમાં સારું રહ્યું હતું. જેમાં વલસાડના કપરાડામાં સૌથી વધુ 3.70 ઇંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે ખેરગામમાં 2.17 ઇંચ, કામરેજમાં 2.13 ઇંચ, પેટલાદમાં 2.05 ઇંચ, સોજીત્રામાં 1.97 ઇંચ, ઘોઘંબામાં 1.77 ઇંચ, નાનાપોંઢામાં 1.46 ઇંચ, ભાવનગરમાં 1.42 ઇંચ, પલસાણામાં 1.42 ઇંચ, વાલિયામાં 1.18 ઇંચ, ધરમપુરમાં 1.06 ઇંચ, બારડોલીમાં 0.98 ઇંચ, સિનોરમાં 0.87 ઇંચ, બરવાળામાં 0.83 ઇંચ, પારડીમાં 0.79 ઇંચ વરસાદ વરસ્યો હતો.

ચાલુ સીઝનમાં અત્યાર સુધીમાં ગુજરાતમાં સરેરાશ કરતાં ઘણો ઓછો વરસાદ પડ્યો છે. અત્યાર સુધી રાજ્યમાં માત્ર 4.60 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે આ સમયગાળા દરમિયાન દર વર્ષે સરેરાશ 9.64 ઇંચ વરસાદ થવો જોઈએ. એટલે કે ગુજરાતમાં સામાન્ય કરતાં 31 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. વરસાદની આ ખોટને કારણે ખેડૂતો ઉપરાંત જળાશયો અને ડેમોની સ્થિતિ પર પણ અસર જોવા મળી રહી છે.

હવામાન વિભાગ દ્વારા આજેથી આગામી ત્રણ દિવસ સુધી અમદાવાદ, ગાંધીનગર સહિત સમગ્ર ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ અથવા ગાજવીજ સાથે ઝાપટાં પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે 21મીથી 23મી જુલાઈ દરમિયાન દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદનું જોર થોડું વધી શકે છે અને ત્યાં વધુ વિસ્તારોમાં વરસાદ પડી શકે છે.