હવામાન@ગુજરાત: રાજ્યમાં ફરી કમોસમી વરસાદની આગાહી, 6 જિલ્લામાં યલો ઍલર્ટ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ગુજરાતમાં ફેબ્રુઆરીના અંતિમ દિવસોમાં કુદરતનો અજીબોગરીબ મિજાજ જોવા મળી રહ્યો છે. શિયાળાની વિદાય અને ઉનાળાના આગમન વચ્ચે મેઘરાજાએ એન્ટ્રી કરતાં રાજ્યભરમાં ત્રણ ઋતુનો માહોલ સર્જાયો છે. સોમવારે (23મી ફેબ્રુઆરી) અમદાવાદ, ભરૂચ અને અમરેલી સહિતના જિલ્લાઓમાં ખાબકેલા કમોસમી વરસાદ બાદ આજે પણ હવામાન વિભાગે છ જિલ્લાઓ માટે યલો ઍલર્ટ જાહેર કર્યું છે. બીજી તરફ નોંધનીય છેકે, સુરેન્દ્રનગરના લખતર તાલુકામાં ગત મોડીરાત્રે કમોસમી વરસાદી ઝાપટા પડ્યા હતા.
જ્યારે કડુ, ઓળક, માલિકા, તરમણીયા અને કળમ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં સામાન્ય વરસાદ નોંધાયો હતો.હવામાન વિભાગે આગામી 24 કલાકમાં ઉત્તર અને પૂર્વ ગુજરાતમાં હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરતા સાવચેતીના ભાગરૂપે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, છોટા ઉદેપુર, દાહોદ અને પંચમહાલ જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કર્યું છે.હવામાન વિભાગના જણાવ્યાનુસાર, આજે રાજ્યના અનેક ભાગોમાં તેજ પવન અને વાવાઝોડા જેવી સ્થિતિ વચ્ચે વરસાદ વરસી શકે છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં માવઠાની શક્યતા. દક્ષિણ ગુજરાતના ભરૂચ, તાપી, સુરત અને નર્મદામાં પવન સાથે હળવા ઝાપટાંની આગાહી. જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છ: સૌરાષ્ટ્રના અમરેલી સહિતના ભાગો અને કચ્છમાં પણ કમોસમી વરસાદની પૂરેપૂરી શક્યતા છે.
અમદાવાદમાં સોમવારે દિવસભર વાદળછાયા વાતાવરણ બાદ રાત્રિના સમયે વાતાવરણમાં પલટો આવ્યો હતો. સિંધુ ભવન રોડ, એસ.જી. હાઈવે, ગોતા અને ચાંદલોડિયામાં દિવસ દરમિયાન ઝાપટાં પડ્યા હતા. જ્યારે રાત્રિના સમયે પ્રહલાદનગર, સરખેજ અને શિવરંજની સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો હતો. આજે વહેલી સવારથી જ અમદાવાદમાં ઠંડા પવન અને ભારે ભેજને કારણે ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું, જેનાથી વિઝિબિલિટી ઘટતા વાહનચાલકોને મુશ્કેલી પડી હતી.24 ફેબ્રુઆરીથી રાજ્યમાં હવામાન પલટાશે અને વાતાવરણ મુખ્યત્વે શુષ્ક રહેવાની શક્યતા છે. જોકે, તાપમાનમાં વધ-ઘટ ચાલુ રહેશે, જેમાં બપોરના સમયે મહત્તમ તાપમાન 34 ડિગ્રી સુધી પહોંચી શકે છે, જ્યારે લઘુત્તમ તાપમાન 18થી 20 ડિગ્રીની વચ્ચે રહેશે. હવામાન વિભાગના મતે આગામી દિવસોમાં લઘુત્તમ તાપમાનમાં 2-3 ડિગ્રીનો ઘટાડો થતા ઠંડીનું જોર ફરી થોડું વધી શકે છે.

