હવામાન@ગુજરાત: ચોમાસું નબળું પડતા ઉકળાટની અસર વર્તાશે, આ વિસ્તારોમાં હળવો વરસાદ થઈ શકે

 
હવામાન
વરસાદનું જોર નબળું પડતાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધશે.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી જામેલા ચોમાસાના માહોલ વચ્ચે હવે મેઘરાજાએ થોડો વિરામ લીધો છે અને વરસાદનું જોર ઘટ્યું છે. રાજ્ય પરથી વરસાદી ટ્રફ પસાર થઈ જવાના કારણે આગામી દિવસોમાં માત્ર સામાન્ય અને છૂટોછવાયો વરસાદ જ જોવા મળશે.ભારે વરસાદની સંભાવના ન હોવાથી હવે આગામી બે દિવસ દરમિયાન લોકોને અસહ્ય ઉકળાટ અને બફારાની અસર સહન કરવી પડશે. રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ જળવાઈ રહેશે. પરંતુ મોટાભાગના વિસ્તારોમાં વરસાદનું જોર નબળું પડતાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધશે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આજે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ જેવા કે વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ,દાદરા અને નગર હવેલીમાં તેમજ સૌરાષ્ટ્રના જિલ્લાઓ જેવા કે રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થવાની પ્રબળ સંભાવના છે.રાજ્યના બાકીના જિલ્લાઓમાં હવામાન મુખ્યત્વે સૂકું રહેવાની સંભાવના છે.

આ ઉપરાંત આવતીકાલે અને 14 જુલાઈએ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ જેવા કે વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ તેમજ દમણ,દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ અથવા ગાજવીજ સાથે વરસાદ થવાની પ્રબળ સંભાવના છે.આ ઉપરાંત,સૌરાષ્ટ્રના જિલ્લાઓ જેવા કે રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં પણ છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ અથવા તો ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે.