હવામાન@ગુજરાત: લાંબા વિરામ બાદ ફરી વરસાદી માહોલ, જાણો ક્યાં ક્યાં વરસાદ પડ્યો?

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે (15મી ઑગસ્ટ) ગીર સોમનાથ, અમરેલી, જૂનાગઢ, રાજકોટ, કચ્છ અને બનાસકાંઠા જિલ્લામાં વરસાદ વરસ્યો છે. રાજ્યમાં લાંબા સમય બાદ વરસાદની પધરામણી થતા ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે ગીર સોમનાથ જિલ્લાના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. જેમાં દિવ સહિત કોડીનાર-ઉના અને આસપાસના ગામોમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. અમરેલીના સાવરકુંડલામાં બપોર બાદ મેઘરાજાનું આગમન થયું હતું. લાંબા વિરામ બાદ સાવરકુંડલામાં વરસાદ વરસતા ધરતીપુત્રોમાં આનંદ છવાયો હતો અને અસહ્ય ઉકળાટ અને ગરમીથી પણ લોકોને રાહત મળી.
જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના, અકાળા, દુધાળા, ધરમપુર, કાલીંભડા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં બપોર બાદ વરસાદ વરસ્યો છે. જ્યારે રાજકોટ જેતપુરના વિવિધ વિસ્તારોમાં વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. કચ્છના લખપતમાં લાંબા વિરામ બાદ ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. બનાસકાંઠાના અંબાજીમાં આજે ભારે વરસાદ વરસ્યો હતો. જેના કારણે રસ્તા પર ભરાયા પાણી.આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, ખેડા, આણંદ, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરુચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.
16મી ઑગસ્ટ સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. ગુજરાતમાં ચોમાસાની વર્તમાન સિઝનમાં સરેરાશ 22 ઇંચ સાથે 64 ટકા જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. અત્યારસુધીના નોંધપાત્ર વરસાદને પગલે ખેતી પણ ખીલી ઊઠી છે. અત્યારસુધી 82 ટકા વિસ્તારમાં વાવણી પૂર્ણ થઈ છે. આ ઉપરાંત 206 જળાશયોમાં સરેરાશ જળસ્તર 69 ટકા છે, જ્યારે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવરમાં સરેરાશ 78 ટકા જળસ્તર છે.