હવામાન@ગુજરાત: વાવાઝોડાને લઇને અંબાલાલ પટેલની આગાહી, 21મેથી ભારેથી અતિભારે વરસશે વરસાદ

 
અંબાલાલ
અમદાવાદ, ગાંધીનગરમાં તાપમાનનો પારો 40 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અંબાલાલ પટેલની આગાહી અનુસાર, 21 મેથી હવામાનમાં પલટો આવશે.એક પછી એક સિસ્ટમ સક્રિય થતા અરબી સમુદ્રમાં વાવાઝોડુ બનશે. મુંબઈ અને ગોવા વચ્ચે એક સિસ્ટમ બનશે. જે સિસ્ટમ વાવાઝોડામાં પરિવર્તિત થશે. સિસ્ટમ વાવાઝોડામાં પરિવર્તિત થતા દરિયામાં ઊંચા મોજા ઉછળશે.સાથે જ ગુજરાત અને મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પણ વરસશે. જ્યારે કેટલાક વિસ્તારોમાં ગાજવીજ, ભારે પવન સાથે સામાન્યથી મધ્યમ વરસાદ વરસશે.

દક્ષિણ ગુજરાત પર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે. જેની અસરના ભાગરૂપે 48 કલાક બાદ અમદાવાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં થંડરસ્ટ્રોમથી લઈ હળવા વરસાદની શક્યતા વ્યકત કરાઈ છે. અમદાવાદ શહેરના વાતાવરણમાં 21મેથી પલટો આવી શકે છે અને 22થી 24મે દરમિયાન હળવા વરસાદી ઝાપટાથી માંડી ગાજવીજ સાથે વરસાદની સંભાવના વ્યકત કરાઈ છે. આજે સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. જ્યારે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ખેડા, પંચમહાલ,દાહોદ,આણંદ, વડોદરા અને છોટા ઉદેપુરમાં પણ હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે.

આ તરફ દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં પણ આવતીકાલે કમોસમી વરસાદની શક્યતા છે. જ્યારે સંઘ પ્રદેશ દીવ,દમણ અને દાદરાનગર હવેલીમાં પણ આજે હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી છ દિવસ 50 કિ.મી પ્રતિ કલાકથી વધુની ઝડપે પવન ફુંકાઈ શકે છે. તો આ તરફ અમદાવાદ, ગાંધીનગરમાં તાપમાનનો પારો 40 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે.