મહેસાણાને ટ્રાફિકની સમસ્યાથી છુટકારો કોણ અપાવી શકશે ?
અટલ સમાચાર,મહેસાણા
મહેસાણા જીલ્લામાં દરરોજ બપોર અને સાંજના સમયે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. પોલીસ તંત્રની બેદરકારી કે વાહનચાલકોની બેદરકારી તે સાબિત કરવુ જરા મુશ્કેલ બની રહયુ છે. મહેસાણાના કૃષ્ણનો ઢાળ અને પાંચ લીંમડી રોડ પર દરરોજ શાળા છુટવાના સમયે ભારે ટ્રાફિક જામ થતો હોય છે. જેમાં અમુક સમયે ટ્રાફિક જવાનો પણ સ્થળ પર હાજર ના રહેતા હોવાથી ભયંકર ટ્રાફિકથી રાહદારીઓ પણ ફસાઇ જાય છે. તો વળી બીજી તરફ રીક્ષાચાલકો પણ આડેધડ પાર્કીગ કરી ટ્રાફિકની સમસ્યાને નિમત્રંણ આપતા રહે છે.
મહેસાણાના કૃષ્ણના ઢાળ વિસ્તારમાં આવેલી શાળા આગળ અવાર-નવાર બપોરના સમયે ભારે ટ્રાફિકજામ થઇ જાય છે. ૧૦૦ મીટરથી પણ ઓછા માર્ગને પાર કરતા અંદાજે ર૦ મીનીટથી પણ વધુનો સમય નીકળી જાય છે. જો આવા સમયે કોઇ એમ્બ્યુલન્સ આ વિસ્તારમાંથી નિકળે તો શું થાય તે સવાલ પણ લોકો ઉઠાવી રહયા છે. હવે જોવાનું એ રહે છે કે મહેસાણા પોલીસ દરરોજની આ ટ્રાફિક સમસ્યાનું સમાધાન કેવી રીતે લાવે છે ?