વિવાદ@સુરત: કોરોના વચ્ચે મનપાએ નવરાત્રી માટે ટેન્ડર પાડ્યું, અંતે સ્થગિત
અટલ સમાચાર, ડેસ્ક
કોરોના મહામારી વચ્ચે લોકો એકત્ર થવાથી કોરોનાનું સંક્રમણ ફેલાવાનું જોખમ વધી જાય છે. જે બાદ આ વર્ષે નવરાત્રીનું આયોજન કરવું કે નહીં તે મામલે સરકાર હાલ વિચારણા કરી રહી છે. આ તરફ રાજ્યમાં નવરાત્રીનું આયોજન કરતા અનેક લોકોએ સ્વેચ્છાએ આયોજન નહીં કરવાની જાહેરાત કરી દીધી છે. તો સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી નવરાત્રીના આયોજન માટે ઇન્ડોર સ્ટેડિયમને ભાડે આપવા માટે ટેન્ડર બહાર પાડતા વિવાદ ઊભો થયો છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
કોરોના મહામારી ગુજરાતમાં જે રીતે સતત પ્રસરી રહી છે તેનાથી આ વર્ષે નવરાત્રી થશે કે નહીં તે મુદ્દે અસમંજસની સ્થિતિ છે. આ સમયે સુરત મનપા દ્વારા સુરતમાં આવેલા ઇન્દોર સ્ટેડિયમને નવરાત્રી માટે ભાડે આપવાની જાહેરાત કરી ટેન્ડરિંગની પ્રક્રિયા શરૂ કરતાં વિવાદ સર્જાયો છે. સુરત શહેરમાં એક તરફ કોરોનાના કેસ સતત વધી રહ્યા છે ત્યારે સુરત મનપા તરફથી આવી કાર્યવાહી સામે અનેક સવાલો ઉઠ્યા છે.
આ મામલે તંત્રએ પોતાનો બચાવ કરતા જણાવ્યું હતું કે, આ આખી પ્રક્રિયા ખૂબ જ જટિલ હોવાને લઇને કાર્યવાહી શરૂ કરી હતી. જો સરકાર મંજૂરી આપે તો અંતિમ ઘડીએ કોઈ દોડાદોડી ન થાય તે માટે અમે અત્યારથી જ પ્રક્રિયા શરૂ કરી હતી. જોકે, મનપાના આવા નિર્ણયને પગલે વિવાદનો મધપૂડો છેડાયો છે. આ મામલે સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન અને મેયર તરફથી આ ટેન્ડરિંગની કાર્યવાહી સ્થગિત કરી દેવામાં આવી છે.