દાંતિવાડા તાલુકાની માળીવાસ પ્રાથમિક શાળાનો પ૦મો જન્મદિવસ ઉજવાયો
અટલ સમાચાર,પાલનપુર
શાળામાં કેક કાપીને હર્ષોલ્લાસ સાથે શાળા બર્થ ડે મનાવવામાં આવતાં ગામમાં અનેરો ઉત્સાહ
છેલ્લા ચાર વર્ષથી માળીવાસ પ્રાથમિક શાળામાં સ્થાપના દિનની હર્ષભેર ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે શાળાને ૫૦ વર્ષમાં પ્રવેશ થતો હોઇ ૫૦મો શાળા સ્થાપના દિન-સુવર્ણ જયંતિની દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં પધારેલ મહેમાનોનું શાબ્દિક સ્વાગત શાળાના આચાર્ય ઉત્પલ કુલકર્ણીએ કર્યું હતુ. શાળામાં કેક કાપીને હર્ષોલ્લાસ સાથે શાળા બર્થ ડે મનાવવામાં આવ્યો હતો. જેમાં શાળા સ્થાપના થયેથી જનરલ રજીસ્ટર મુજબ પ્રથમ પાંચ વિદ્યાર્થીઓ અને અત્રેની શાળામાં અભ્યાસ કરીને સરકારી નોકરી કરનારાઓનું સ્મૃતિચિન્હ અને શાલથી સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે દાંતીવાડા તાલુકા પંચાયત પ્રમુખ પાંનાબેન ચૌહાણ, અગ્રણીઓ,નટુભાઇ ચૌધરી, જયંતિભાઇ વાધણીયા,જયંતિભાઇ બોચાતર, ભોળભાઇ રબારી, સરદારભાઇ ભટોળ, તાલુકા પ્રા. શિક્ષણાધિકારી ભરતભાઇ ચૌધરી, બી.આર.સી.કો. ઓર્ડીનેટર જીગર જોષી, તેજસ મેવાડા, સીતાબેન બારડ, સમરાજી ઘાડીયા, રમેશભાઇ ભુતડીયા, રણજીતસિંહ વાઘેલા, શાળાઓના આચાર્યો, સી.આર.સી.ઓ તેમજ ખુબ જ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખએ આયોજનની ગ્રાંટમાંથી શાળાને રૂપિયા બે લાખની સહાય ફાળવવાની જાહેરાત કરી હતી.