ગુજરાત: ગાંધીજીના હત્યારા ગોડસેનો જન્મ દિવસની ઉજવણી કરનારા 6ની ધરપકડ

અટલ સમાચાર,અમદાવાદ
થોડા દિવસ પહેલા ભાજપાના ઉમેદવાર પ્રજ્ઞા ઠાકુર ગાંધીજીના હત્યા નાથુરામ ગોડસેને દેશ ભક્ત કહી વિવાદમાં ફસાયા હતા. ત્યારે મહાત્મા ગાંધીના હત્યારા નાથુરામ ગોડસેના ભક્તોનો વિવાદ ગુજરાતમાં પણ જોવા મળ્યો છે. સુરતમાં નાથુરામ ગોડસેનો જન્મ દિવસ ઉજવવાની ઘટના સામે આવી છે. જેને લઈ વિવાદ વકર્યો છે. આ મામલે 6 લોકોની અટકાયત પમ કરવામાં આવી છે.
પોલીસ ફરિયાદ અનુસાર, રવિવારે સાંજે 7 કલાકની આસપાસ લાંબાયત પોલીસ સ્ટેશન હદના સંજયનગર વિસ્તારમાં પંચમુખી હનુમાન મંદિરમાં અખિલ બારતીય હિન્દુ મહાસભાના લગભગ આઠ કે તેથી વધુ હોદ્દેદારો દ્વારા મહાત્મા ગાંધીના હત્યારા નાથુરામ ગોડસેની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી, અને ત્યાં દીવા પ્રગટાવી મીઠાઈ પણ વહેંચવામાં આવી હતી. આ પ્રકારના સમાચાર બહાર આવતા જ આ કાર્યમાં સંકળાયેલા વ્યક્તિઓ વિરુદ્ધ ઉશ્કેરાટ અને ઉત્તેજના ફેલાવીને જાહેર સુલેહ શાંતીનો ભંગ કરવા બદલ ફરિયાદ નોંધી 6 લોકોની અટકાયત કરવામાં આવી છે. જેમાં 1 – હિરેન મશરૂ, 2 – વાલા ભરવાડ, 3 – વિરલ માલવી, 4 – હીતેશ સોનાર, 5 – યોગેશ પટેલ અને 6 – મનીષ કલાલનો સમાવેશ થાય છે.
કોંગ્રેસે આ મુદ્દે ભારે વિરોધ નોંધાવ્યો છે, અને કલેક્ટરને આ મુદ્દે આવેદનપત્ર આપવાનું નક્કી કર્યું છે. કોંગ્રેસે આ કાર્યક્રમમાં જોડાનાર લોકો સામે કડગ પગલા ભરવાની માંગ કરી વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે. આ બાજુ તંત્રએ ઘટનાની ગંભીર નોંધ લઈ 6 જેટલા લોકોની ધરપકડ કરી છે.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે, નાથુરામ ગોડસેને લઈ અમારી પાર્ટીનું વલણ સ્પષ્ટ છે. ગાંધીજીના વિચારો પ્રત્યે અમારી પાર્ટીને માન છે. ગાંધીજીના સાહિત્યો અને વિચારો લોકો સુધી પહોંચાડવા માટે પ્રયત્નશીલ છીએ. ગોડશેની વિચારધારાને અમે જરા પણ ચલાવી નહીં લઈએ.