વિસ્ફોટ@સુરત: ONGCમાં ગેસ પાઈપલાઈન લીકેજ થતાં મોટો બ્લાસ્ટ
અટલ સમાચાર, ડેસ્ક
સુરતનામાં આવેલા ONGCના પ્લાન્ટમાં બોમ્બે હાઈથી આવતી મેઈન પાઈપલાઈનમાં લીકેજના કારણે વહેલી સવારે એકપછી એક 3 વિસ્ફોટ બાદ આગ ફાટી નીકળી. ધડાકાના કારણે આજુબાજુના ઘરોના કાચ પણ તૂટી ગયા અને લોકો રસ્તાઓ પર ઉતરી પડ્યા. ફાયરીની 10થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. જોકે, ઓએનજીસી દ્વારા સવારે ટ્વીટ કરીને જાણ કરવામા આવી કે, આગ કાબૂમાં છે અને કોઈ જાનહાનિ થઈ નથી.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
સુરતના હજીરા ખાતે આવેલા ONGCના પ્લાન્ટમાં મુંબઈથી આવતી મુખ્ય ગેસ પાઈપ લાઈનમાં ગેસ લીકેજના કારણે આ આગ લાગી. ફાયર વિભાગના જણાવ્યા પ્રમાણે 5-6 કલાકમાં આગ પર કાબૂ મેળવી લેવાની શક્યતા છે. સુરતના જિલ્લા કલેક્ટરના જણાવ્યા મુજબ ONGC ટર્મિનલની બાજુમાં ગેસ લીકેજ થતા આગ લાગી. સવારે 3.05 વાગે લીકેજના કારણે ધડાકા થયા. હાઈડ્રો કાર્બન ગેસ લીકેજ થતા આ ધડાકા થયા. જે પાઈપલાઈનમાં લીકેજના કારણે ધડાકા બાદ આગ ફાટી નીકળી તે મુંબઈ હાઈ લાઈન હાલ બંધ કરી દેવાઈ છે. સુરક્ષાને ધ્યાનમાં રાખતા મગદલ્લા ચોકડીથી ઈચ્છાપોર ચોકડી સુધીના અવરજવરના હાઇવેના રસ્તાઓ બંધ કરાયા હતા. દુર્ઘટના સ્થળેથી પણ લગભગ તમામ કર્મચારીઓને બહાર કાઢવામાં આવ્યા હતા.
સુત્રોએ જણાવ્યુ હતુ કે, ગેસ પાઇપ લાઇન 240 કિલોમીટર લાંબી છે. આગને કાબૂમાં લેવામાં ઘણા કલાકો લાગી શકે છે. આગની જ્વાળાઓ કેટલાય કિલોમીટર દૂરથી લોકોના ઘરની ગેલેરી અને ધાબા પરથી જોવા મળી હતી. લોકો ડરના માર્યે ઘરની બહાર આવી ગયા હતા. આ દુર્ઘટનામાં ONGCના 2 કર્મચારી લાપત્તા હોવાનું કહેવાય છે. જો કે હજુ સત્તાવાર આ અંગે કોઈ માહિતી અપાઈ નથી. ઓએનજીસીના ગેસ ટર્મિનલની બાજુમાં આ આગ લાગી છે. ગેસ લીકેજના કારણે થયેલા વિસ્ફોટ બાદ આજુબાજુના રહીશોમાં ભયનો માહોલ છે.