દુર્ઘટના@સુરતઃ પતંગ ચગાવતા 6 વર્ષનું બાળક પાંચમા માળેથી પટકાતા કરૂણ મોત

અટલ સમાચાર, ડેસ્ક
ઉત્તરાયણને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે દરેક માતા-પિતા તથા પતંગરસિકો માટે લાલબત્તી ધરતો બનાવ સામે આવ્યો છે. હિરેનભાઈ પટેલ (પીડિત પિતા)એ જણાવ્યું હતું કે તનય ધોરણ-1માં અભ્યાસ કરતો હતો. રોજ નીલકંઠ એવન્યુના બાળમિત્રો સાથે ધાબા પર રમવા જતો હતો. તેની મોટી બહેન એની સાથે જ રહેતી હતી. ગુરુવારની સાંજે તનયે પતંગ ચગાવવાની જીદ કરતાં માતાએ પતંગ લાવી આપ્યો હતો. બહેન અને બીજા બાળમિત્રો સાથે જ હતા. તનય પટકાતાં અચાનક બૂમાબૂમ અને ચિચિયારીઓ પડતાં લોકો ભેગા થઈ ગયા હતા.
અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો
પત્નીએ દોડીને જોયું તો તનય અગાસી પરથી એટલે કે લગભગ 60-70 ફૂટ ઉપરથી નીચે પટકાયો હતો. માથા અને છાતીમાં ગંભીર ઇજાઓ થઈ હતી. તાત્કાલિક દોડીને નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ જતાં મૃત જાહેર કરાયો હતો. પત્નીને તો એમ જ છે કે તનય હોસ્પિટલમાં દાખલ છે અને સાજો છે, મારું મન જ જાણે છે. હું આખી રાત દીકરાના મૃતદેહ સાથે કેમ રહ્યો છું, એમ મૃતકના પિતાએ કહ્યું હતું.
હિરેનભાઈએ વધુમાં કહ્યું હતું કે હું પોતે મદદનીશ પ્રાધ્યાપક છું. એગ્રિકલ્ચર કોલેજ ઘોડદોડ રોડ, સુરતમાં. બસ પોસ્ટમોર્ટમ થાય પછી દીકરાના મૃતદેહને ઘરે લઈ જઈશું, પણ તેની માતાને કેવી રીતે અને કેમ શાંત રાખવી એ ખબર નથી પડતી. તે તો દીકરાને મળવાની જીદ પકડીને બેઠી છે. હાલ અડાજણ પોલીસ આગળની કાર્યવાહી કરી રહી છે.