ગુરૂકુલ પ્રિમિયર લીગ-૯ ઓલ ઇન્ડીયા ઓપન નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ
અટલ સમાચાર, અમદાવાદ
સ્વામિનારાયણ ગુરૂકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ અંતર્ગત એસજીવીપી સૂર્યા સ્પોર્ટસ એકેડેમી દ્વારા ગુરૂકુલ પ્રિમિયર લીગ-૯ ઓલ ઇન્ડીયા ઓપન નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટની શરૂઆત થઇ હતી. માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી અને પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીના વરદ હસ્તે કરવામાં આવી હતી. અમદાવાદ રૂરલ વિભાગના પોલિસ વડા રાજેન્દ્ર અસારી, ઇન્ડીયન ઓઇલના ડાઇરેક્ટર ભાવિન રાડીયા, લંડનથી હિરાણી રવજીભાઇ, ભકતવત્સલદાસજી સ્વામી, કોઠારી ધર્મનંદનદાસજી, રીબડા ગુરૂકુલના સંચાલક સ્વામી ધર્મવત્સલદાસજી સ્વામી, કુંજવિહારીદાસજી સ્વામી, સૂર્યકાંતભાઇ પટેલની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યુ હતું.
આ ક્રિકેટ ટુર્નામેન્ટ લેધરબોલ અને ટેનેસિ બોલથી રમાશે. જેમાં લેધર બોલમાં ELITE અને PLATE ગ્રૂપ એ બે કેટેગરીમાં રમાશે. ELITE ગ્રૂપમાં રણજી પ્લેયર અને IPL પ્લેયર ભાગ લઇ શકશે. લેધરબોલ ટુર્નામેન્ટમાં ગુજરાત ઉપરાંત દિલ્હી, મુંબઇ, યુ.પી, મદ્રાસ, ચેન્નાઇ, હરિયાણા, નેપાળ વગેરે રાજ્યોમાંથી ૩૬ ટીમો ભાગ લઇ રહી છે. જ્યારે ટેનિસ બોલમાં રાજકોટ, અમદાવાદ, વડોદરા, હિંમતનગર, મહેસાણા, ભૂજ વગેરે ગુજરાતમાંથી ૧૬૪ ક્રિકેટ ટીમો ભાગ લઇ રહી છે.
આ ટુર્નામેન્ટમાં કુલ ૧૫ લાખ રૂપિયાના ઇનામો આપવામાં આવશે. જેમાં બન્ને કેટેગરીમાં પ્રથમ વિજેતા ટીમને ૨,૫૧,૦૦૦ રૂપિયા રોકડ પુરસ્કાર અને રનર્સ ટીમને ૧,૫૧,૦૦૦ રૂપિયા અને બેસ્ટ બોલર, બેસ્ટ બેટ્સમેન, મેન ઓફ ધ સીરિઝને રોકડ ઇનામ અને વ્યક્તિગત ગીફ્ટ તેમજ ટ્રોફી એનાયત કરાશે. આ પ્રસંગે અમેરિકા સત્સંગ પ્રચાર અર્થે વિચરણ કરી રહેલ પૂ.માધવપ્રિયદાસજી સ્વામીએ તમામ ખેલાડીઓને અભિનંદન આપતા જણાવ્યું હતું કે, જીતને ખેલદીલીથી સ્વીકારો સાથે સાથે હારને પણ ખેલદિલથી સ્વીકારીએ, અહીં ગ્રાઉન્ડને અમે મંદિર માનીએ છીએ. બેટ-બોલ અને રમતના સાધનોને અમે પૂજાની સામગ્રી માનીએ છીએ. આ કાર્યક્મની વ્યવસ્થા સંભાળનાર શા.કુંજવિહારીદાસજી સ્વામી, જાલમસિંહ સર, ઘનશ્યામભાઇ સુવા, ભરતભાઇ પટેલ વગેરેને હાર પહેરાવી સન્માનિત કર્યા હતા. સંભા સંચાલન ભાનુભાઇ પટેલે સંભાળ્યું હતું.