હૈપ્પી બર્થ ડે@મહેસાણા : આજના દિવસે મેસાજી ચાવડાએ તોરણ બાંધ્યું
અટલ સમાચાર, મહેસાણા
મહેસાણા શહેરનો આજે સ્થાપના દિવસ છે. સવંત 1414 માં મેસાજી ચાવડા નામના રાજપૂતે વસાવેલું મેસાણા ગામ આજે 660 વર્ષ પછી મહેસાણા શહેર બની ગયું છે. ઓએનજીસી, રેલવેસ્ટેશન અને દૂધ સાગર ડેરીના કારણે વિકાસ પામેલું મહેસાણા શહેર ઉત્તર ગુજરાતનું મહત્વનું શહેર બની ગયું છે.
સવંત 1414માં ભાદરવા સુદ દશમ ના રોજ મેસાજી ચાવડાએ તોરણવાળી માતાજીની સ્થાપના કરીને મહેસાણા નો પાયો નાખ્યો હતો. પુંજાજી ચાવડા ની બહાદુરી પર વારી જઈને અલાઉદ્દીન ખીલજીએ પૂંજાજી ચાવડાને 284 ગામ ભેટ આપ્યા હતા. પુંજાજી ચાવડાએ અંબાસણ ગામમાં ગાદી સ્થાપી ને તેમના ત્રણ દીકરાઓ પૈકી મેસાજી ચાવડા ને મહેસાણા તરફનો પટ્ટો આપ્યો હતો. તેથી મેસાજી ચાવડા એ મેસાણા ગામનું તોરણ બાંધ્યું હતું. મેશાજી ચાવડાએ ગામ વસાવ્યું હોવાથી ગામનું નામ મેસાણા આપવામાં આવ્યું હતું. પરંતુ કાળક્રમે મેસાણા ગામનો અપભ્રંશ થઇને આજે મહેસાણા બની ગયું છે.
મેસાજી ચાવડા એ સ્થાપના કરેલું તોરણવાળી માતાજીનું મંદિર આજે પણ હયાત છે. મહેસાણા ની સ્થાપના સાથે તોરણવાળી માતાજીનું મંદિર સંકળાયેલું હોવાથી તોરણવાળી માતાજી મંદિર ટ્રસ્ટ અને મહેસાણા સ્થાનિક બ્રહ્મભટ્ટ સમાજ દ્વારા દર વર્ષે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાય છે.