પ્રતિક્રિયા@ગુજરાત: મેરજાનું રાજીનામું મચ્છુ ડેમથી આપઘાત કરવા સમાન: કગથરા
અટલ સમાચાર,ડેસ્ક
રાજ્યસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ કૉંગ્રેસના ધારાસભ્યોનાં રાજીનામાં પડી રહ્યા છે. શુક્રવારે કૉંગ્રેસના મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ ધારાસભ્ય પદેથી રાજીનામું ધરી દીધુ છે. ધારાસભ્યના રાજીનામાં અંગે પ્રતિક્રિયા આપતા ટંકારાના કૉંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરાએ કહ્યુ છે કે, બ્રિજેશ મેરજાએ મચ્છુ ડેમ મામલે ખૂબ રજુઆત કરી છે. મારા મતે તેમનો આ નિર્ણય મચ્છુ ડેમ પરથી કૂદીને આપઘાત કરવા સમાન છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
લલિત કગથરાએ આકારી ભાષામાં પ્રતિક્રિયા આપતા કહ્યુ હતુ કે, “રાતોરાત કોઈનું બ્લેકમેઇલિંગ ન થઈ શકે. રાજીનામું આપનાર મિત્રને શું રાતોરાત ખબર પડી કે પક્ષની નીતિ બરાબર નથી? આવું જ હતું તો તેઓ 15 વર્ષ સુધી પક્ષમાં શું કરી રહ્યા હતા? તમને કોણે બળજબરીથી પક્ષમાં રાખ્યા હતા. રાતોરાત બ્રહ્મજ્ઞાન થવા પાછળ ચોક્કસ કોઈ કારણ હોય જ છે.”
ટંકારાના ધારાસભ્યએ વધુમાં જણાવ્યુ હતુ કે, “બ્રિજેશ મેરજા 2014માં પણ એક વખત ભાજપમાં જઈ ચુક્યા છે. ભાજપમાં હાલમાં કૉંગ્રેસ મૂળના 60 ધારાસભ્ય રહેલા છે. ધારાસભ્યો એવું વર્તન કરી રહ્યા છે જેનાથી રાજકારણ પર નફરત થાય છે. જાહેર જીવનનું સ્તર આટલું કથળી ગયું છે તે ખરેખર દુઃખની વાત છે.” માંગરોળના કોંગ્રેસના ધારાસભ્ય બાબુભાઈ વાજાને ભાજપ તરફથી 15 કરોડની ઑફર કરવામાં આવી હોવા મામાલે તેમજ તેમને કોઈ ઑફર મળી છે કે નહીં તે મામલે પ્રતિક્રિયા આપતા લલિત કગથરાએ કટાક્ષમાં કહ્યુ હતુ કે, “મને કોઈ ઑફર મળી નથી. અમુક જગ્યાએ કોઈ પૂછવા પણ ન આવે. ઑફર એમને કરવામાં આવે જેમની કિંમત હોય. અમારી કોઈ કિંમત જ નથી. અમે કિંમત વગરના છીએ. અમારી કિંમત પણ કોઈ ન આંકી શકે.”
કૉંગ્રેસની આગળની રણનીતિ અંગે વાત કરતા લલિત કગથરાએ જણાવ્યું કે, “ધારાસભ્યોને પકડી રાખીને કંઈ ન થાય. આજે સાથે હોય કાલે જતા રહે તો તમે શું કરી લેવાના છો? કોઈને ખભે બેસાડીને તો સચાવી ન શકાય.” સાથે જ તેમણે જણાવ્યું હતું કે, ખરીદનાર હોય ત્યારે વેચાવાવાળા હોય છે. ભાજપે મહામારીના સમયમાં ચૂંટણી જાહેર કરી હોવાથી આ બધી રામાયણ થઈ છે. ભાજપને વિનંતી કે પહેલા અમદાવાદ સિવિલમાં કોરોના દર્દીઓને દાખલ કરો, પછી આ બધું કરો.