સ્પેશ્યલ@દિવસઃ આજે વિક્રમ સારાભાઈની 48 મી પુણ્યતિથિ
અટલ સમાચાર, મહેસાણા
વિક્રમ સારાભાઈદેશના સ્પેસ પ્રોગ્રામના પ્રણેતા વૈજ્ઞાનિક ડૉ. વિક્રમ સારાભાઈની આજે તા.30 ડિસેમ્બર 48 મી પુણ્યતિથિ છે. ત્યારે ફ્રાન્સના વિખ્યાત ભૌતિકવિજ્ઞાની પીએરે ક્યુરીના શબ્દો સ્મરણીય બને છે ”ડો. વિક્રમ સારાભાઈની દ્રષ્ટિ જીવનને એક રળિયામણું સપનું બનાવવાની અને એને વાસ્તવિક રૂપમાં ઢાળવાની રહી છે. એમણે અનેક લોકોને સ્વપ્ન જોતા અને એને વાસ્તવિકતામાં પલટવા માટે કામમાં ખૂંપી જતા કર્યા. આનું જીવતું – જાગતું ઉદાહરણ એટલે ભારતના સ્પેસ પ્રોગ્રામની સફળતા.”તા.12 ઓગસ્ટ,1919ના રોજ જન્મેલા ડૉ. વિક્રમ સારાભાઈએ કેમબ્રીજ કેમ્બિરજ યુનિવર્સિટીમાંથી કોસ્મિક રેઝ વિષેના સંશોધન બદલ ડૉક્ટરની પદવી મેળવી હતી. એ પછી એમને ગાઈડ તરીકે રાખીને 19 વિદ્યાર્થીઓએ પોતાનું પીએચ.ડી.નું કાર્ય સફળ બનાવ્યું.
ડૉ. વિક્રમ સારાભાઈએ 86 રીસર્ચ પેપર લખ્યા હતા. અર્થ શાસ્ત્ર અને મેનેજમેન્ટમાં અનુપમ સૂઝબૂઝ ધરાવતા ડો. વિક્રમ સારાભાઇને યુવાનોની ક્ષમતામાં સહુથી વધુ વિશ્વાસ હતો. આથી જ તેઓ યુવાવર્ગને તક આપવા સદા તત્પર રહેતા. એટલું જ નહિ, એમણે કામ કરવાની પૂરી આઝાદી પણ આપતા નવી પેઢીને એમનો સંદેશો છે. કોઇપણ સમસ્યાને કદી હળવી ના માનો. એના મૂળ સુધી પહોંચો અને એનું કાયમી નિરાકરણ કરો.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
ભારતમાં સેટેલાઇટ ટીવી પ્રસારણની પ્રગતિ માટે પાયાનું કામ કરનારા ડો. વિક્રમ સારાભાઇએ દેશમાં વૈજ્ઞાનિક શિક્ષણની આગેકૂચ માટે અમદાવાદમાં કોમ્યુનિટી સાયન્સ સેન્ટર શરૂ કર્યું. અમદાવાદમાં જ અટિરા અને આઇઆઇએમની સ્થાપનામાં એમણે મહત્વપૂર્ણ યોગદાન કર્યું હતુ. પૂર્વ રાષ્ટ્રપતિ ડો. એ.પી.જે. અબ્દુલ કલામના ગુરૂ એવા ડો. વિક્રમ સારાભાઇનું તા.30 ડિસેમ્બર, 1971ના દિવસે માત્ર 52 વર્ષની નાની વયે નિધન થયુ. એમની વૈજ્ઞાનિક કામગીરી આજે પણ નવી પેઢી માટે પ્રેરણારૃપ છે.