આજે વિશ્વ મેલેરિયા દિનઃ 100થી વધારે દેશોમાં આ બીમારી પહોંચી
અટલ સમાચાર, ડેસ્ક
ફક્ત આફ્રિકામાં મેલેરિયાના લીધે દર મિનિટે એક બાળકનું મોત થાય છે
વિશ્વ આરોગ્ય સંસ્થા 25 એપ્રિલ વિશ્વ મેલેરીયા દિવસ તરીકે મનાવવામાં આવે છે. 25 એપ્રિલ 2000ના રોજ 44 આફ્રીકન દેશોના વડાઓએ મેલેરીયાની નાબુદી માટે ઠરાવ પસાર કરી મેલેરીયા નિયંત્રણ કાર્યક્રમ ઘડી કાઢ્યો હતો. તેની યાદમાં દર વર્ષે 25 એપ્રિલે આફ્રીકન મલેરીયા દિવસ તરીકે 2001થી મનાવવાનું શરૂ કરાયું હતું. વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા વિશ્વ મેલેરીયા દિનની ઉજવણી પ્રતિવર્ષ 25 એપ્રિલ 2005થી કરવામાં આવે છે.
વિશ્વ આરોગ્ય સંસ્થાના અહેવાલ પ્રમાણે વર્ષ 2013માં આશરે 20 કરોડ લોકો મેલેરીયાનો શિકાર બન્યા હતા. આશરે 5,84,000 લોકો મરણ પામ્યા હતા. એમાં લગભગ 83 ટકા બાળકો હતાં, જેઓની ઉંમર 5 વર્ષથી ઓછી હતી. આ બીમારીના લીધે 100 કરતાં વધારે દેશો પર ખતરો તોળાઈ રહ્યો છે. બીજા શબ્દોમાં કહીએ તો, આશરે 3.2 અબજ લોકોનો જીવ જોખમમાં છે.
મેલેરિયાની પ્રાથમિક સારવાર માટે “ક્લોરોક્વિન”નામની ગોળી આપવામાં આવે છે રાષ્ટ્રીય મેલેરિયા નિયંત્રણ કાર્યક્રમ( NMCP) 1953, રાષ્ટ્રીય મેલેરીયા નાબુદી પ્રોગ્રામ (NMEP) 1958. હેલ્પ લાઈન નંબર: 104 જેની થીમ 2019: “Zero malaria starts with me” છે.
મેલેરિયા શું છે ?
મેલેરિયા એક પ્રકારના જીવાણુથી થતો રોગ છે. એમાં તાવ આવે, ઠંડી ચડી જાય, પરસેવો થાય, માથું દુઃખે, શરીર દુઃખે, ઊબકા આવે અને ઊલટી થાય. શરીરમાં કયા પ્રકારના અને કેટલા સમયથી જીવાણુ પ્રવેશ્યા છે, એના આધારે આ લક્ષણો અમુક વાર 48 થી 72 કલાકમાં ઊથલો મારે છે.
કઈ રીતે ફેલાય છે ?
મેલેરિયા માટે પ્લાઝમોડીયમ નામના જીવાણુઓ જવાબદાર છે. માદા ઍનોફિલીસ મચ્છર કરડે ત્યારે આ જીવાણુઓ વ્યક્તિના લોહીમાં પ્રવેશે છે.
આ જીવાણુઓ વ્યક્તિના લીવરમાં જાય છે અને ત્યાં પુષ્કળ પ્રમાણમાં વધે છે.
લીવરના કોષો ફાટે ત્યારે આ જીવાણુઓ વ્યક્તિના રક્તકણોમાં પ્રવેશે છે. ત્યાં પણ એની સંખ્યા વધે છે હવે રક્તકણો ફાટે ત્યારે, આ જીવાણુઓ બીજા રક્તકણોમાં પ્રવેશે છે. રક્તકણો ફાટવાનું અને જીવાણુઓનું બીજા રક્તકણોમાં પ્રવેશવાનું ચક્ર ચાલ્યા કરે છે. વ્યક્તિના શરીરમાં જ્યારે ઘણા પ્રમાણમાં રક્તકણો ફાટે છે ત્યારે મેલેરિયાના લક્ષણો દેખાય છે.
મેલેરિયાથી બચવા માટેના ઉપાય
1. મચ્છરદાનીનો ઉપયોગ કરો.
2. એના પર જંતુનાશક દવા છાંટેલી હોવી જોઈએ.
3. એ કાણાંવાળી કે ફાટેલી ન હોવી જોઈએ.
4. ગાદલા નીચે સારી રીતે ભરાવી દીધેલી હોવી જોઈએ.
5. શક્ય હોય તો બારી-બારણાં પર મચ્છરજાળી લગાવો. એ.સી. અથવા પંખા વાપરો.
6. આછા રંગના અને શરીર પૂરું ઢંકાય એવાં કપડાં પહેરો.
7. શક્ય હોય તો ઝાડી-ઝાંખરામાં જવાનું ટાળો. કારણ કે, ત્યાં મચ્છર ભરાઈ રહે છે. ભરાયેલા પાણી પાસે જવાનું ટાળો. કારણ કે, ત્યાં મચ્છર ઉછરે છે.
8. જો તમને મેલેરિયા થયો હોય, તો તરત સારવાર લો.
9. ધ્યાન રાખો કે, આ બીમારીનાં લક્ષણો 1 થી 4 અઠવાડિયામાં દેખાઈ શકે.
મલેરિયા માટે નીચે આપેલાં લક્ષણોની અવગણના ન કરશો
1. સખત તાવ આવવો
2. પરસેવો થવો
3. ધ્રુજારી સાથે ઠંડી લાગવી
4. માથું દુઃખવું
5. શરીર દુઃખવું
6. થાક લાગવો
7. ઊબકા આવવા
8. ઊલટી થવી
9. ડાયેરિયા થવા