દુર્ઘટના@મોરબી: ભારે વરસાદથી દિવાલ પડી, એકસાથે 7 લોકોના મોત
અટલ સમાચાર, ડેસ્ક
મોરબીમાં છેલ્લા 24 કલાકથી પડી રહેલા ભારે વરસાદ કારણે જનજીવન પ્રભાવિત થયું છે. શહેરના ઉમિયા સર્કલ નજીક એક દિવાલ ધરાશાયી થતા 7 લોકોના મોત નીપજ્યા છે. જ્યારે દટાયેલા અન્ય લોકોને બહાર કાઢી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાને પગલે વહીવટી તંત્ર અને સરકારમાં ખળભળાટ મચી ગયો છે.
સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદની ગંભીર અસર સામે આવી છે. મોરબીમાં કંડલા હાઈવે પર આવેલા ઉમિયા સર્કલ પાસે એક દીવાલ ધરાશાયી થઈ હતી. જેમાં મોટી દૂર્ઘટના સામે આવી છે. દિવાલ તૂટી પડતાં કુલ 7 લોકોનાં મોત થયાની પુષ્ટિ કરવામાં આવી છે. આ સાથે કેટલાક લોકો દટાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટનાને પગલે ફાયર સેફ્ટી દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.
ઘટનાને પગલે ઘાયલોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે મોરબીમાં છેલ્લા 24 કલાકથી ભારે વરસાદ પડી રહ્યો હોઇ ક્લેક્ટર દ્વારા તાકીદે બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સલામત સ્થળે ખસેડવા સુચના અપાઇ છે. આ સાથે શાળા-કોલેજોમાં રજા જાહેર કરવાના આદેશ થયા છે.