વડોદરા: અક્ષયપાત્રના કર્મચારીઓની હળતાળ, આજે બાળકોને નહીં મળે ભોજન
અટલ સમાચાર, વડોદરા
વડોદરામાં અક્ષય પાત્ર ફાઉન્ડેશનનાં કર્મચારીઓએ ફરી એકવખત હડતાળ પર ઉતરીને વિરોધ પ્રદર્શન કર્યું છે. આજે અક્ષય પાત્ર ફાઉન્ડેશનનાં કર્મચારીઓની હડતાળના કારણે જિલ્લાભરના સરકારી શાળાના બાળકોને ભોજનથી વંચિત રહેવું પડશે.
વડોદરામાં 6ઠ્ઠી ઓક્ટોબરે એક મહિલા કર્મચારી અહીં લાડુ બનાવતા હતા ત્યારે તેમની સાડી મશીનમાં આવી ગઇ હતી. તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતાં. ત્યારબાદ કર્મચારીઓનો આરોપ હતો કે જે બહેન ઘાયલ થયા હતા તેમને બેથી ત્રણ કલાક કોઇ સારવાર આપવામાં આવી નહીં. જેના કારણે કર્મચારીઓએ ચીમકી ઉચ્ચારી હતી કે, જ્યાં સુધી ઇજાગ્રસ્ત બહેનને સારી સારવાર નહીં આપવામાં આવે ત્યાં સુધી અમે અક્ષયપાત્રની ઓફિસની બહાર જ ઉભા રહીશું અને કોઇપણ જમવાની ગાડીને બહાર જવા નહીં દઇએ.
અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા અહિં ક્લિક કરો
આ અંગે કર્મચારી યુનિયન સાથે વાત કરતા જણાવ્યું હતું કે, અહી આ પહેલા પણ ઘણાં અકસ્માતો થયા છે જે બહાર આવતા નથી. ગત છ તારીખે મહિલા કર્મચારીની લાડુનાં ચુરમા બનાવવાનાં મશીનમાં સાડી ભરાઇ જતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતાં. તેમને 2થી ત્રણ કલાક અહીં જ રાખવામાં આવ્યાં હતા, તેમને ત્યારે તરત જ કોઇ સારવાર ન થઇ.
કર્મચારીઓની આ હડતાળને પગલે વડોદરા જિલ્લાની સરકારી પ્રાથમિક અને નગરપાલિકાઓની શાળાઓનાં બાળકોને આજે મધ્યાહન ભોજન નહીં મળે. જો તેમની માંગણીઓ સંતોષાશે તો જ તેઓ ભોજન ભરેલી ગાડીઓ ગેટની બહાર જવા દેશે. વડોદરામાં મહિલા સાથે બનેલી ઘટના બાદ કર્મચારીઓએ આરોપ લગાવતા જણાવ્યું હતું કે, અક્ષયપાત્ર સંસ્થા દ્વારા બેદરકારી રખાઇ રહી છે.